22 October, 2025 09:10 AM IST | Dakor | Gujarati Mid-day Correspondent
મંદિરમાં અન્નકૂટનો પ્રસાદ લૂંટતા ભક્તજનો
ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ‘ડાકોરના ઠાકોર’ તરીકે પૂજાતા ભગવાન શ્રી રણછોડરાયજીના મંદિરમાં ગઈ કાલે ભક્તોએ પ્રેમથી અન્નકૂટ પ્રસાદ લૂંટ્યા બાદ આરોગીને ધન્યતા અનુભવી હતી. ભારતનું આ એકમાત્ર મંદિર હશે જ્યાં અન્નકૂટનો પ્રસાદ લૂંટાય છે.
વર્ષોની પરંપરા પ્રમાણે દિવાળીના બીજા દિવસે ડાકોરમાં ભગવાન શ્રી રણછોડરાયજીના મંદિરે અન્નકૂટ ભરાય છે. બુંદી, જલેબી, ભાત, ફ્રૂટ્સ તેમ જ પકવાનોનો અન્નકૂટ ડાકોરની આસપાસનાં ૮૦ જેટલાં ગામડાંઓના લોકો લૂંટવા આવે છે. આ પ્રસાદ લૂંટવા માટે મંદિર પ્રશાસન તરફથી ગામના લોકોને આમંત્રણ આપવામાં આવે છે. વર્ષમાં એક વાર દિવાળી પછીના દિવસે અન્નકૂટ લૂંટવા માટે ૮૦ ગામડાંઓના ભક્તજનો ઉત્સાહી હોય છે. કહેવાય છે કે જે વ્યક્તિ આ પ્રસાદ આરોગે તે આખું વર્ષ બીમાર નથી પડતો.