16 February, 2026 06:38 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ એક મોટું નિવેદન આપ્યું છે. એક મુલાકાતમાં, 85 વર્ષીય નેતા વાઘેલાએ જણાવ્યું હતું કે જો તેઓ ભાજપમાં હોત, તો કદાચ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો માર્ગ જુદો હોત. વાઘેલાએ એવું સૂચવવાનો પ્રયાસ કર્યો કે મોદી કદાચ મુખ્ય પ્રધાન અને પછી વડા પ્રધાન ન બન્યા હોત. શંકરસિંહ વાઘેલાએ 1995 માં ભાજપ સામે બળવો કર્યો હતો, 47 ધારાસભ્યો સાથે દબાણ કર્યું હતું. બાદમાં તેઓ કૉંગ્રેસના સમર્થનથી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા. વાઘેલા એવા ગુજરાતી નેતાઓમાંના એક છે જેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે તેમના રાજકીય જીવનની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવી હતી.
એક મુલાકાતમાં, શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તેમનામા આત્મસન્માન છે. તેમણે કહ્યું કે તેઓ રાજકારણમાં આવવા માટે પોતાની સંપત્તિ ગીરવે મુકનારા નથી. વાઘેલા દાવો કર્યો કે તેમને કંઈ જોઈતું નથી. તેઓ રાજકીય જીવનમાં પોતાના માટે પ્રવેશ્યા નથી. તેઓ ખરેખર સામાન્ય લોકો માટે રાજકીય જીવનમાં પ્રવેશ્યા છે. વાઘેલાએ આગળ કહ્યું, "જો તેઓ ભાજપમાં હોત, તો નરેન્દ્રભાઈ (નરેન્દ્ર મોદી) જે માર્ગમાં આજે આગળ વધ્યા છે તે રીતે આગળ વધ્યા ન હોત." શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે તેઓ રાજપૂત અને ક્ષત્રિય છે, અને તેઓ ખોટી રીતે સમાધાન કરી શકતા નથી. તેમનું કહેવું છે કે તે તેમના ડીએનએ સાથે આ વાંધો છે. વાઘેલાએ કહ્યું કે તેમને ભલે પૃથ્વી પર સ્વર્ગ મળે, પણ તેમને તે જોઈતું નથી.
વાઘેલાએ મુખ્ય પ્રધાન તરીકેની પોતાની નિમણૂક અને કૉંગ્રેસના સમર્થન વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે સરકાર બનાવવી એ ઉદ્દેશ્ય નહોતો, કારણ કે કોઈ પણ ધારાસભ્ય પાંચ વર્ષ પહેલાં ઘરે જવા માગતા નથી. તેથી, તેઓ મુખ્ય પ્રધાન બન્યા અને સરકાર બની. આ ધારાસભ્યોના દબાણને કારણે થયું. નોંધનીય છે કે શંકરસિંહ વાઘેલા એ વ્યક્તિ છે જેમણે ગુજરાતના રાજકારણમાં છેલ્લા બળવાનું નેતૃત્વ કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેઓ પીએમ મોદી અને ગુજરાત મોડેલના ટીકાકાર તરીકે આગળ આવ્યા છે. વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધીને પણ પોકળ ગણાવી છે. તેમનું કહેવું છે કે ગાંધી અને સરદારના નામે દારૂબંધીનો કાયદો હવે લાગુ ન કરવો જોઈએ.
21 જુલાઈ, 1940 ના રોજ જન્મેલા વાઘેલાએ રાજકારણમાં લાંબી ઇનિંગ્સ રમી છે. તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા અંગત સંબંધો હોવાનું માનવામાં આવે છે. જ્યારે પીએમ મોદીની માતા હીરાબાનું ડિસેમ્બર 2022 માં અવસાન થયું ત્યારે શંકરસિંહ વાઘેલા પીએમ મોદી સાથે અંતિમ સંસ્કારમાં હાજર હતા. વાઘેલાને ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે ઓળખવામાં આવે છે. જન સંઘ પછી, વાઘેલાએ જનતા પાર્ટી અને પછી ભાજપમાં સેવા આપી. તેમણે કૉંગ્રેસમાં રહીને પણ રાજકારણ કર્યું. એટલું જ નહીં, તેમણે બે વાર પોતાની પાર્ટી પણ બનાવી. પીએમ મોદી મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા વાઘેલાએ 23 ઑક્ટોબર, 1996 થી 27 ઑક્ટોબર, 1997 સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી.