Watch Video: ગુજરાતમાં `વીઆઈપી કલ્ચર` પર બ્રેક, CMનો કાફલો માત્ર બે કાર્સનો

13 May, 2026 01:08 PM IST  |  Rajkot | Gujarati Mid-day Online Correspondent

અમરેલી જિલ્લાના રાજુલા એક હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌને ચોંકાવી દીધા હતા. સામાન્ય રીતે મુખ્યમંત્રીનો કાફલો 10થી વધુ વાહનોનો હોય છે, પરંતુ વડાપ્રધાનની અપીલને માન આપી તેઓ માત્ર બે જ કાર્સ સાથે પહોંચ્યા.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ) - ભૂપેન્દ્ર પટેલ ફાઈલ તસવીર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વડોદરાથી વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને ઈંધણ સંકટને ધ્યાને રાખીને દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અપીલ કરી હતી. પીએમની આ અપીલને ગુજરાત સરકારે ગંભીરતાથી લઈ અમલીકરણ શરૂ કર્યું છે. રાજ્યમાં સાદગી અને પર્યાવરણ જાળવણીના ઉમદા હેતુથી મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓ અને રાજ્યપાલે પોતાના પ્રોટોકોલમાં ધરખમ ફેરફાર કર્યા છે.

CM ભૂપેન્દ્ર પટેલની સાદગી: માત્ર 2 કારનો કાફલો

અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ₹22 કરોડના ખર્ચે નિર્મિત 108 બેડની હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌને ચોંકાવી દીધા હતા. સામાન્ય રીતે મુખ્યમંત્રીનો કાફલો 10થી વધુ વાહનોનો હોય છે, પરંતુ વડાપ્રધાનની અપીલને માન આપી તેઓ માત્ર બે જ ગાડીઓ સાથે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. સરકારના આ નિર્ણય મુજબ હવે માત્ર CM અને ડેપ્યુટી CMને જ કોન્વોય સુવિધા મળશે, જ્યારે અન્ય મંત્રીઓને નોન-કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ કે ઈંધણ બચાવવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. તેઓ હવે રાજ્યમાં મુસાફરી માટે હેલિકોપ્ટર કે વિમાનને બદલે એસ.ટી. બસ અને ટ્રેનનો ઉપયોગ કરશે. તેમણે નાગરિકોને પ્રદૂષણ ઘટાડવા સાયકલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)નો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરી છે.

 

ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો

વડાપ્રધાને વિદેશી હૂંડિયામણ અને આર્થિક આત્મરક્ષા માટે એક વર્ષ સુધી બિનજરૂરી વિદેશ પ્રવાસો ટાળવા સૂચન કર્યું છે. આ અપીલને અનુસરીને ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ મે મહિનાના અંતમાં અમેરિકામાં યોજાનારા `ગુજરાતી કન્વેન્શન`નો પોતાનો પ્રવાસ રદ કર્યો છે.  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. તેમણે જણાવ્યું કે દેશના હિતમાં નાગરિકોએ પણ આવા નિર્ણયોમાં સહયોગ આપવો જોઈએ. એટલું જ નહીં પણ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પેટ્રોલના ભાવમાં સ્થિરતા ન આવે ત્યાં સુધી પોતાની સુરક્ષા માટે મળતી પાયલોટિંગ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે. તેમની સાથે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા અને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ પણ પાયલોટિંગ સેવાઓનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે. 

યુનિવર્સિટીઓમાં `કાર પુલિંગ` પર ભાર

વહીવટી સ્તરે પણ ફેરફારો જોવા મળી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલ વર્ક ફ્રોમ હોમની સુવિધા નથી, પરંતુ કુલપતિ નીરજા ગુપ્તાએ સત્તાવાર પરિપત્ર બહાર પાડી તમામ કર્મચારીઓને `કાર પુલિંગ` (એક જ વાહનમાં વધુ કર્મચારીઓ આવવા) કરવા સૂચના આપી છે જેથી ઈંધણની બચત થઈ શકે. વૈશ્વિક સંકટ વચ્ચે ગુજરાત સરકારના આ પગલાં ઈંધણ બચત અને સરકારી ખર્ચમાં ઘટાડો લાવવાની દિશામાં એક મક્કમ કદમ માનવામાં આવી રહ્યા છે.

narendra modi bhupendra patel harsh sanghavi gujarat petrol diesel price political news