13 May, 2025 03:05 PM IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતના રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક સમૂહ લગ્નમાં મોટી બબાલ થઈ હતી અને હવે આ બબાલ વિવાદ સુધી પહોંચી ગયું છે. રાજકોટમાં એક સમૂહ લગ્નમાં નવ દંપતીને કરિયાવરમાં આપવામાં આવેલા દાગીના ખોટા હોવાનો આરોપ કરવામાં આવી રહ્યા છે.
ખોટા ઘરેણાં આપવાના મામલે અહીંના લખતરના પરિવારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી હતી. નવદંપતી, તેમના પરિવાર અને નવઘણ રોજાસરાએ સમૂહ લગ્નના આયોજકો સામે આરોપ લગાવ્યો હતો કે તેઓએ સોનાની જગ્યાએ બગસરાની વીટી ઘરેણાં તરીકે આપી હતી. ચાંદીની વીટી પણ બીજા જ કોઈ ધાતુની હોવાનો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે 27 એપ્રિલે 555 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે તેમાં ખોટા ઘરેણાં આપવામાં આવતા વિક્રમ સોરાણી, પીન્ટુ પટેલ, અક્ષય ધાડવી, રોશનીબેન પટેલ, રાહુલ શીશા, જયંતિ, પ્રિયંકા નામના આરોપીઓ સામે અરજી દાખલ કરવામાં આવી હતી.
27 એપ્રિલે રાજકોટમાં 555 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ સમૂહ લગ્નમાં દાતાઓએ દીકરીઓને કરિયાવરમાં સોનાને બદલે બીજી કોઈ ધાતુના ખોટા ઘરેણાં આપવામાં હોવાના આરોપ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના લખતરના પરિવારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે સમૂહ લગ્નના આયોજક વિક્રમ સોરાણીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરી અપીલ કરી હતી કે “દીકરીઓને દાતાઓ તરફથી ઘરેણા આપવામાં આવ્યા હતા. જો કોઈને પણ નકલી ઘરેણા આવ્યા હોય તો તેઓ પરત કરે અમે માફી માગીએ છીએ. બીજી વખત આવું ન થાય તે માટે મર્યાદિત દીકરીઓના સમૂહ લગ્ન કરાવીશું.”
વિક્રમ સોરાણીએ સ્પષ્ટતા કરી હતી કે દાતાઓએ પોતાના હાથે જ નવદંપતીને આ ભેટ આપી હતી. જે પણ ભેટ અપાઈ તે અમે આપેલી નથી. કુલ છ વસ્તુઓ દાતા તરફથી મળી હતી. જો કોઈ ભૂલ થઈ હોય તો તે દાતાઓ તરફથી થઈ છે. જો કોઈને ખોટી વસ્તુ મળી હોય તો મારો સંપર્ક કરી શકે છે. સમૂહ લગ્નના કરિયાવરમાં કથિત રીતે કૌભાંડ મુદ્દે વિક્રમ સોરાણીએ સ્પષ્ટતા કરી હતી કે કરિયાવરની યાદીમાં સમજફેર થઇ છે. કરિયાવરની કોઈ યાદી રાજકોટના સમૂહ લગ્નને લઈ જાહેર કરાઇ નથી. અમારા કાર્યકર્તાથી કોઈ ખામી રહી ગઈ હોય તો દીલગીર છું. કોઈ પણ અવ્યવસ્થા થઈ હોય તો હું માફી માગું છું. વીટી સોનાની આપવાની જ નહોતી. ઈમિટેશનની વીટી હતી અને તે જ આપવામાં આવી. સોનાની વીટી આપવાની જાહેરાત નહોતી થઈ જેથી સોરાણીએ સ્પષ્ટતા કરી હતી. અમે સોનાની ચૂંક કરિયાવરમાં આપી છે. સોનાની ચૂક નકલી હશે તો અમે બદલી આપીશું. એક પંચ ધાતુ અને એક ચાંદીનો સિક્કો કરિયાવરમાં અપાયો છે.