01 August, 2026 10:01 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતમાં સતત ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને ઘણા રસ્તાઓ જલમગ્ન થઈ ગયા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે પાંચ જિલ્લાઓ માટે `રેડ ઍલર્ટ` અને 11 જિલ્લાઓ માટે `ઑરેન્જ ઍલર્ટ` જાહર કર્યું છે. રાજ્ય સરકારે લોકોને ઘરની અંદર રહેવા અને ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવાનું ટાળવા વિનંતી કરી છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં શુક્રવારે સવારે એક ટેમ્પો હાઇ-ટેન્શન પાવર લાઇનના સંપર્કમાં આવ્યો હતો. આ ઘટનામાં કલ્પેશ હળપતિ (30), નીતિન હળપતિ (32) અને જીગર હળપતિ (21) ના મોત થયા હતા; ત્રણેય ગાંડેવા ગામના રહેવાસી હતા. અકસ્માતમાં બે અન્ય મજૂરો ઘાયલ થયા હતા અને તેમને ખારેલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગણદેવી પોલીસ ઇન્સ્પેક્ટર એન. આઈ. રાઠોડે જણાવ્યું હતું કે સતત વરસાદ અને ઓછી દૃશ્યતા અકસ્માતનું મુખ્ય કારણ હોઈ શકે છે. બીજી ઘટનામાં, આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં, એક ૧૧ વર્ષની બાળકીનું નહેરના જોરદાર પ્રવાહમાં વહી જવાથી મૃત્યુ થયું. તેની સાથે રહેલા અન્ય બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા.
ભારે વરસાદ વચ્ચે, છેલ્લા ૨૪ કલાકમાં સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાંથી ૨૦,૪૦૦ થી વધુ લોકોને વિવિધ રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા. નવસારી જિલ્લામાંથી સૌથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. અગાઉ, રાજ્ય સરકારે અહેવાલ આપ્યો હતો કે ૧૬,૫૦૦ થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને ૪૧ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નવસારીના ગણદેવી વિસ્તારમાં અગિયાર પંચાયત રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તોરંગમ, દેવધા, ઉંડચ, ખાખવાડા અને અજરાઈ ગામના રહેવાસીઓને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. વહીવટીતંત્ર વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ, બાળકો અને અપંગ વ્યક્તિઓને પ્રાથમિકતા આપી રહ્યું છે.
પરિસ્થિતિને સંભાળવા માટે અમદાવાદ, નવસારી અને સુરતમાં બે-બે આર્મી કોલમ તૈનાત કરવામાં આવી છે. જામનગર, જોધપુર, વડોદરા અને પુણેમાં વાયુસેનાના હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. વધુમાં, રાજ્યભરમાં 33 SDRF ટીમો અને 17 NDRF ટીમો તહેનાત છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.
ભારે વરસાદની ચેતવણીને પગલે, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને તમામ લેકફ્રન્ટ બગીચાઓ બંધ કરી દીધા છે. સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા લેકફ્રન્ટ પર આયોજિત ગૌરી અને જયા પાર્વતી વ્રતના સમાપન કાર્યક્રમો પણ મુલતવી રાખવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રહેવાસીઓને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. શહેરના તમામ 19 ફાયર સ્ટેશનો, 678 ફાયર કર્મચારીઓ અને આઠ બચાવ બોટ સાથે, ચોવીસ કલાક કામગીરી માટે તૈયાર રાખવામાં આવી છે. પ્રશાસને લોકોને નદીઓ, નહેરો અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા અને હવામાન વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી સલાહનું પાલન કરવા વિનંતી કરી છે.