28 April, 2022 08:41 AM IST | Ahmedabad | Shailesh Nayak
નરેશ પટેલ
પાટીદાર અગ્રણી નરેશ પટેલને વડીલોએ ગુજરાતના રાજકારણમાં ન પ્રવેશવાની સલાહ અને શિખામણ આપી છે. ગુજરાતના રાજકારણમાં ખોડલધામના ચૅરમૅન નરેશ પટેલની એન્ટ્રીને લઈને કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં આવી રહી છે ત્યારે પાટીદારોના મૅક્સિમમ વોટ અંકે કરવા નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટે બીજેપી, કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી જોર લગાવી રહી છે.
ખોડલધામની મળેલી બેઠકમાં ગઈ કાલે ઉપસ્થિત રહેલા નરેશ પટેલે રાજકારણમાં પોતાના પ્રવેશને લઈને કહ્યું હતું કે મારે પણ લાંબો સમય નથી ખેંચવો, બહુ ટૂંક સમયમાં જાણ કરીશ. જોકે વડીલો ખૂબ ચિંતા કરે છે કે રાજકારણમાં ન જાઓ એ હકીકત છે.
નરેશ પટેલે પ્રશાંત કિશોરની બાબતે કહ્યું હતું કે પ્રશાંત કિશોર મારા મિત્ર છે. મારે રાજકારણમાં જવાનું થશે તો તેઓ મારી સાથે ઊભા રહેશે તેવી મને આશા છે. કિશોરે નિર્ણય લીધો છે તે તેમનો પર્સનલ નિર્ણય છે એટલે હું કમેન્ટ ન કરી શકું.