ગુજરાત હંમેશાં ટ્રેન્ડ સેટર રૂપે રહ્યું છેઃ વડા પ્રધાન મોદી

21 October, 2022 09:53 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં મિશન લાઇફનું લૉન્ચિંગ કર્યું નરન્દ્ર મોદીએ

સ્ટૅચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકર ઉપસ્થિત હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગુજરાતમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી, એકતા નગરથી મિશન લાઇફનું ગ્લોબલ લૉન્ચિંગ કરીને ગર્વ લેતાં કહ્યું કે પુનઃ પ્રાપ્ય ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં પગલાં શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. વાત નહેરો પર સોલર પૅનલ લગાવવાની હોય કે જળ સંરક્ષણની યોજનાઓ શરૂ કરવાની હોય, ગુજરાત હંમેશાં એક પ્રકારે લીડર રૂપે, ટ્રેન્ડ સેટર રૂપે રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા મિશન લાઇફ – લાઇફસ્ટાઇલ ફૉર એન્વાયર્નમેન્ટ કાર્યક્રમમાં સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘આ આયોજન અમારા રાષ્ટ્રીય ગૌરવ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટીના સાંનિધ્યમાં થઈ રહ્યું છે અને ક્લાઇમેટ ચેન્જ વિરુદ્ધ લાઇફમાં યુનિટી જ સૌથી મહત્ત્વપૂર્ણ ફૅક્ટર છે. દુનિયાની સૌથી મોટી પ્રતિમા આપણને પર્યાવરણથી જોડાયેલા ઊંચાં લક્ષ્ય નક્કી કરવા અને એને પૂરાં કરવાની પ્રેરણા આપશે. ભારત આજે સમગ્ર વિશ્વમાં પ્રગતિ અને પ્રકૃતિ વચ્ચે સંતુલનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. દેશમાં વન વિસ્તાર વધવા સાથે વન્ય જીવોની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ રહી છે. તબક્કાવાર લેવાયેલાં પગલાંઓના પરિણામે ભારત પર્યાવરણના સંરક્ષણની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે.

તેમણે કહ્યું કે વિશ્વમાં ચાર ટનની સાપેક્ષે ભારતમાં કાર્બન ફુટ પ્રિન્ટનું પ્રમાણ માત્ર પ્રતિ વ્યક્તિ દોઢ ટન છે. ભારત જળ વાયુ પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાના સમાધાન માટે સૌથી અગ્રીમ હરોળમાં કામ કરી રહ્યું છે. રીડ્યુસ, રીયુઝ, રીસાઇકલ અને સર્ક્યુલર ઇકૉનૉમી તો હજારો વર્ષથી ભારતીય જીવનશૈલીનાં અંગ રહ્યાં છે.

નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે ‘જલવાયુ પરિવર્તન એ ફક્ત નીતિ સાથે સંબંધિત એક મુદ્દો છે  અને એ વિચારપ્રક્રિયા તરફ દોરી જાય છે. આ તમામ મહત્ત્વપૂર્ણ મુદ્દાને માત્ર સરકાર અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર છોડી દેવાને બદલે હવે એમાં જનશક્તિને જોડવાની જરૂર છે. લોકો આસપાસના વાતાવરણમાં જળવાયુ પરિવર્તનની અસર અનુભવી રહ્યા છે અને છેલ્લા કેટલાક દાયકાઓમાં અણધારી આફત જોવા મળી છે. લોકોએ વ્યક્તિગત, પરિવાર અને સમુદાય તરીકે જલવાયુ પરિવર્તનની અસરો સામે યોગદાન આપવું જોઈએ. મિશન લાઇફનો મંત્ર પર્યાવરણ માટેની જીવનશૈલી છે. મિશન લાઇફથી આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીને પર્યાવરણને સુરક્ષિત કરી શકાય છે.’

ઍન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે ‘ધરતીને સંકટના આ કપરા કાળમાંથી બચાવવા પર્યાવરણ માટે જીવનશૈલી મિશન લાઇફ સમગ્ર વિશ્વ માટે આવશ્યક અને આશાસ્પદ બની રહેશે. જલવાયુ પરિવર્તન, જૈવ વિવિધતાના નુકસાન અને પ્રદૂષણની ત્રિવિધ કટોકટીના મૂળમાં વધુ પડતો વપરાશ છે. આપણી જીવનશૈલીને ટેકો આપવા માટે ૧.૬ ગ્રહનો પૃથ્વીના સમકક્ષ ઉપયોગ કરી રહ્યા છીએ. આ અતિરેક અને અસમાનતા જટિલ છે.’

gujarat gujarat news narendra modi statue of unity