13 May, 2026 02:52 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતની સુરિક્ષત જેલોમાંની એક અમદાવાદની હાઈ સિક્યૉરિટી જેલમાંથી આજીવન કેદની સજા કાપી રહેલો એક કેદી ફરાર થઈ જતાં જેલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. કેદી માલદે પરમાર જેલમાંથી નાસી જતાં જેલના સત્તાવાળાઓ અને જેલની સુરક્ષાવ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે. ફરાર થઈ ગયેલા કેદી સામે રાણીપ પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાતાં ફરાર થઈ ગયેલા કેદીની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
સાબરમતી જેલમાં બડા ચક્કરમાં યાર્ડ-નંબર ૪માં ૩૩ કેદીઓ હતા. આ કેદીઓની ગણતરી કરવામાં આવી રહી હતી ત્યારે એક કેદી ઓછો જણાઈ આવ્યો હતો. તેની તપાસ કરતાં માલદે પરમાર નામનો કેદી મળી આવ્યો નહોતો. જેલના કર્મચારીઓએ તેની જેલમાં શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળી આવ્યો નહોતો. દરમ્યાન ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ ચેક કરતાં જણાયું હતું કે માલદે પરમાર બડા ચક્કર યાર્ડમાંથી બહાર નીકળીને ગમે એમ કરીને મેન ગેટની બહાર નીકળી ગયો હતો.
ઉલ્લખનીય છે કે માલદે પરમાર સામે હત્યા અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ સહિતના ગુના નોંધાયા છે અને તેને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ૨૦૨૫થી તે સાબરમતી જેલમાં હતો.