ખાડીપૂર અને ભારે વરસાદને કારણે સુરતમાંથી મળી ૪૭ ડેડ-બૉડી

11 July, 2026 09:56 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

છેલ્લા ૪ દિવસમાં શહેરમાં ૪૩નાં અને જિલ્લામાં ચારનાં મોત : કોઈનું પાણીમાં ડૂબી જવાથી તો કોઈનું વીજળીનો કરન્ટ લાગથી કે ઝાડ પડવાથી થયું મોત

પાણી ઊતર્યા પછી સુરતની પોદાર આર્કેડનો ગઈ કાલનો નજારો, જેમાં દુકાનોનો માલસામાન ભંગારમાં ફેરવાઈ ગયેલો દેખાય છે.

સુરતને પહેલા જ વરસાદે ધમરોળતાં અને એ પછી ખાડીપૂરે તબાહી મચાવ્યા બાદ એની ભયાવહ વાસ્તવિકતા બહાર આવી રહી છે. અત્યાર સુધીમાં ખાડીપૂર અને ભારે વરસાદને કારણે સુરત શહેર અને જિલ્લામાંથી ૪૭ ડેડ-બૉડી મળી આવી છે. છેલ્લા ૪ દિવસમાં મળી આવેલી ડેડ-બૉડીને કારણે શહેર અને જિલ્લામાં શોક છવાઈ ગયો છે.

સુરતમાં પડેલા ભારે વરસાદ તેમ જ ખાડીમાં આવેલા પૂરના કારણે સુરત જળમગ્ન થઈ ગયું હતું અને તબાહી સર્જાઈ હતી. વરસાદ બંધ રહેતાં અને વરસાદનાં પાણી ઓસરતાં તેમ જ ખાડીનાં પાણી આગળ વહી જતાં છેલ્લા ૪ દિવસ દરમ્યાન જુદા-જુદા વિસ્તારોમાંથી ડેડ-બૉડી મળી રહી છે. સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યાર સુધીમાં સુરતમાંથી ૪૩ મૃતદેહ અને સુરત જિલ્લામાંથી ૪ મૃતદેહ મળી આવ્યા છે. સુરતમાંથી મળી આવેલી ડેડ-બૉડીમાંથી અત્યાર સુધીમાં ૧૯ કેસમાં કૉઝ ઑફ ડેથ જાહેર થયાં છે જેમાં કોઈનું પાણીમાં ડૂબવાથી તો અન્ય કોઈનું વીજળીનો કરન્ટ લાગવાથી તો કોઈનું ઝાડ પડવાથી મોત થયું છે. સુરત જિલ્લામાં ૪ લોકોની ડેડ-બૉડી મળી આવી છે એ તમામનાં ડૂબી જવાથી મોત થયાં છે.’

સુરત શહેરમાં ખાસ કરીને લીંબાયત, ઉધનામાં ખાડી વિસ્તારમાંથી વધુ ડેડ-બૉડી મળી આવી છે. આ ઉપરાંત મોટા વરાછા, આઝાદનગર, ઇન્દિરાનગર, રસૂલાબાદ સહિતના ખાડીની આસપાસના નિચાણવાળા વિસ્તારોમાંથી ડેડ-બૉડી મળી આવી છે. 

૪૫૦૦ સફાઈ-કર્મચારીઓ કરી રહ્યા છે સફાઈકામ

સુરતમાં ભારે વરસાદ અને ખાડીપૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ-કામગીરી હાથ ધરાઈ છે. સુરતમાં ૫૮ જેટલા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૪૫૦૦ જેટલા સફાઈ-કર્મચારીઓ સફાઈ-કામગીરી કરી રહ્યા છે. કચરાના નિકાલ બાદ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. 

surat Gujarat Rains monsoon news Weather Update gujarat news gujarat