અમદાવાદમાં વિમાન જે બિલ્ડિંગ પર પડ્યું હતું એ આખું બનશે નવું

27 May, 2026 02:35 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૧૦૫ કરોડ રૂપિયાના ખર્ચે બનશે અત્યાધુનિક હૉસ્ટેલ અને કૅન્ટીન બ્લૉક : તાતા ગ્રુપ ચૂકવશે ૫૩.૧૨ કરોડ રૂપિયા

અમદાવાદમાં થયેલી વિમાની દુર્ઘટનામાં તૂટી પડેલા બિલ્ડિંગ

અમદાવાદમાં થયેલી વિમાની દુર્ઘટનામાં તૂટી પડેલા બિલ્ડિંગના સ્થાને ૧૦૫ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક હૉસ્ટેલ અને કૅન્ટીન બ્લૉક બનાવવામાં આવશે. એમાં  અૅર ઇન્ડિયાની માલિકી ધરાવતું તાતા ગ્રુપ ૫૩.૧૨ કરોડ રૂપિયા ચૂકવશે.  

ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન પ્રફુલ પાનશેરિયાએ આ જાહેરાત કરીને કહ્યું હતું કે ‘અમદાવાદમાં ૨૦૨૫ની ૧૨ જૂને મેઘાણીનગરમાં થયેલા પ્લેન ક્રૅશની દુર્ઘટનામાં આરોગ્ય વિભાગના અતુલ્યમ ૧થી ૪ બ્લૉક્સ, કૅન્ટીન અને સબસ્ટેશન બિલ્ડિંગને નુકસાન થયું હતું. દુર્ઘટના સમયે હૉસ્ટેલમાં ૯૨ વિદ્યાર્થીઓ રહેતા હતા. દુર્ઘટના બાદ કરાયેલા સ્ટ્રક્ચરલ ઑડિટમાં આ બિલ્ડિંગ રહેવા માટે અસુરક્ષિત જાહેર થતાં એને તોડી પાડવાની ફરજ પડી હતી. આ બિલ્ડિંગને નવું બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અતુલ્યમ ૧થી ૪ બ્લૉકના નુકસાન પેટે આરોગ્ય વિભાગ દ્વારા તાતા ગ્રુપ પાસે ૫૩.૧૨ કરોડની માગણી કરવામાં આવી હતી અને તાતા ગ્રુપ પૂરેપૂરી રકમ આરોગ્ય વિભાગને ચૂકવશે. હવે દુર્ઘટનાસ્થળે ૧૦૫ કરોડના ખર્ચે ગ્રાઉન્ડ પ્લસ ૮ માળની અત્યાધુનિક સુપરસ્પેશ્યલિટી મૅરીડ પોસ્ટ-ગ્રૅજ્યુએટ (PG) હૉસ્ટેલનું નિર્માણ થશે જેમાં ૨૩૬ PG ડૉક્ટર રહી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે. પ્રત્યેક ફ્લૅટને સ્ટુડિયો અપાર્ટમેન્ટ શૈલીમાં તૈયાર કરવામાં આવશે. હૉસ્ટેલના બ્લૉક ઉપરાંત એક આધુનિક કૅન્ટીન બ્લૉક અને નવું સબસ્ટેશન બનાવવામાં આવશે.’ 

gujarat news gujarat ahmedabad plane crash ahmedabad gujarat government