10 February, 2019 12:03 PM IST | મહીસાગર
તસવીર સૌજન્યઃ પ્રિન્સિપલ ચીફ કન્વેર્ઝવેટર ઓફ ફોરેસ્ટ (PCCF) અક્ષય સક્સેના
રાજ્યમાં વાઘની વસતી નથી, ત્યારે મહીસાગર જિલ્લાના વન વિસ્તારમાં વાઘ દેખાયો હોવાની તસવીર વાઈરલ થઈ છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે. વનવિભાગે પણ મહીસાગરના વનવિસ્તારમાં વાઘ હોવાની વાતને સમર્થન આપ્યું છે.
સોશિયલ મીડિયા પર વાઘનો ફોટો વાઈરલ થયા બાદ મહીસાગર વનવિભાગની ટીમે નાઈટવિઝન કેમેરા અને એક્સપર્ટ્સ સાથે વાઘની તપાસ આદરી હતી. જો કે આ તપાસમાં વાઘ હોવાની વાતના પુરાવા મળ્યા છે.
શિક્ષકે સૌથી પહેલા જોયો વાઘ
સૌથી પહેલા મહેશ મહેરા નામના લુણાવાડાના એક શિક્ષકે વાઘને જોયો હતો અને મોબાઈલમાં ફોટો પાડ્યો હતો. 6 ફેબ્રુઆરીએ તેમણે લીધેલી વાઘની તસવીર વાઈરલ થયા બાદ જ વન વિભાગ હરકતમાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ઠંડીનો પ્રકોપઃગાંધીનગર 6.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર, હજી પણ પડશે ઠંડી
છેલ્લે ક્યારે દેખાયો હતો વાઘ ?
ગુજરાતમાં વાઘની વસ્તી નથી. છેલ્લે 1992માં ડાંગના વિસ્તારમાં વાઘ દેખાયો હતો. ત્યાર બાદ ગુજરાતના જંગલમાં વાઘ હોવાની આ પહેલી ઘટના છે. એક વર્ષ અગાઉ મધ્યપ્રદેશના જંગલ વિસ્તારમાં એક વાઘ ગુમ થયો હતો. જેનો કોઈ અતોપતોનથી, એ જ વાઘ પાનમ નદીના કિનારે કિનારે અહીં સુધી આવ્યો હોવાનું વનવિભાગ અનુમાન છે.