11 October, 2021 09:44 AM IST | Ahmedabad | Shailesh Nayak
સચિન, શિવાંશ
ગાંધીનગર પાસે આવેલા પેથાપુરની ગૌશાળા પાસેથી મળી આવેલા બાળકની ઘટનામાં કરુણ વળાંક આવ્યો છે. પોતાના માસૂમ દીકરાને તરછોડી દેનાર અને વડોદરામાં મહેંદી ઉર્ફે હિના સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા સચિને તેની પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને તેની લાશને રસોડામાં મૂકીને બાળકને લઈને ગાંધીનગર આવી ગયો હતો.
વહાલસોયા દીકરાને ત્યજી દેનાર પિતા સચિન દીક્ષિતને ઝડપીને તેની પૂછપરછ કરતાં પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. સચિન દીક્ષિતે જે બાળકને તરછોડી દીધું એ તેની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહેંદી ઉર્ફે હિના અને તેનું બાળક હતું. રેન્જ આઇજી અભય ચુડાસમાએ આ કેસની વિગતો આપતાં પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘સચિન અને હિના ૨૦૧૮થી એકમેકના સંપર્કમાં હતાં. હિના શોરૂમમાં નોકરી કરતી હતી ત્યાં સચિન ગયો હતો ત્યારે પરિચય થયો હતો. આ પરિચય પછી પ્રણયમાં પરિણમ્યો હતો. ૨૦૧૯માં એ લોકોએ સાથે રહેવાનું ચાલુ કર્યું હતું. ૨૦૨૦માં બાળક શિવાંશનો જન્મ થયો હતો. જોકે લગ્ન કર્યાનું રેકૉર્ડ પર નથી. મોટા ભાગે આ લોકો લિવ-ઇનમાં રહેતાં હોવાનું લાગે છે. કારણ કે સચિનની પૂછપરછમાં હજી સુધી લગ્નનો કોઈ ખુલાસો થયો નથી.’
વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા એક ફ્લૅટમાં ભાડે રહેતા આ કપલનો કરુણ અંજામ કેવી રીતે આવ્યો એની વિગતો જાહેર કરતાં અભય ચુડાસમાએ કહ્યું હતું કે ‘સચિનને પરિવાર સાથે ઉત્તર પ્રદેશ વતન જવાનું હતું એટલે છોકરીએ વિરોધ કર્યો હતો કે હવે વતન જવાનું રહેવા દે અને તું હંમેશ માટે મારી સાથે રહે. આ બાબતમાં બન્ને વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો અને ઝપાઝપી થઈ હતી. અંતે સચિને મહેંદી પેથાણીનું ગળું દબાવીને તેનું મર્ડર કર્યું હતું. સચિને હત્યા કરી એ પછી લાશને બૅગમાં પૅક કરી ફેંકવા જવાનો ઇરાદો હશે, પણ સાથે બાળક હોવાને કારણે બન્ને વસ્તુ મૅનેજ નહીં કરી શક્યો એટલે લાશ ભરેલી બૅગ રસોડામાં મૂકીને ચાલ્યો ગયો હતો.’
પોલીસે સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટામાંથી પકડીને ગાંધીનગર લાવીને કરેલી પૂછપરછમાં હિનાની હત્યા કર્યા બાદ શુક્રવારે બાળકને લઈને સચિન ગાંધીનગર આવ્યો હતો અને બાળકને ગૌશાળાના પગથિયા પાસે છોડી દીધો હતો, કેમ કે સચિન માટે આ જગ્યા જાણીતી હોવાને કારણે બાળકને ત્યાં મૂકી દીધું હતું.
આ પણ વાંચો : આ કાનુડાએ ગુજરાતને ઘેલું કર્યું
પ્રેમિકાની હત્યા કર્યાનું પોલીસ સમક્ષ ખુદ સચિને કબૂલી લેતાં વડોદરા પોલીસ બાપોદમાં આવેલા તેના ફ્લૅટ પર ગઈ હતી અને ગઈ કાલે મોડી સાંજે હિનાની લાશનો કબજો લઈને લાશને પોસ્ટમૉર્ટમ માટે સયાજી હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી.