23 July, 2026 12:46 PM IST | Valsad | Gujarati Mid-day Correspondent
વલસાડ જિલ્લાના નાનાપોંઢાના અંભેટી પાસે ફસાયેલી બસમાંથી મુસાફરોને બચાવ્યા હતા.
મેઘરાજાએ છેલ્લા બે દિવસ દક્ષિણ ગુજરાતનો વારો કાઢ્યો છે. અેમાં પણ વલસાડ અને નવસારી જિલ્લો મુશળધાર વરસાદ અને નદીઓમાં આવેલાં પૂરથી લથબથ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ગઈ કાલે ઉમરગામમાં ૧૫ ઇંચ જેટલો, વલસાડમાં સવાઅગિયાર ઇંચ જેટલો, પારડીમાં ૧૦ ઇંચ જેટલો, ખેરગામમાં સાડાનવ ઇંચ વરસાદ પડ્યો હતો. હજી પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
મંગળવારે કપરાડામાં પડ્યો મુશળધાર ૧૬ ઇંચ જેટલો વરસાદ
મંગળવારે વલસાડ જિલ્લાના કપરાડામાં મુશળધાર ૧૬ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેમાં ખાસ કરીને રાતે ધોધમાર વરસાદ પડતાં કપરાડા અને અેની આપસાપના વિસ્તારોના હાલ બેહાલ થઈ ગયા હતા. આ ઉપરાંત મંગળવારે વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં ૧૧ ઇંચથી વધુ, નવસારી જિલ્લાના ચીખલીમાં ૧૦ ઇંચ જેટલો, વલસાડ જિલ્લાના પારડી અને નવસારી જિલ્લાના વાંસદામાં સાડાનવ ઇંચ, વલસાડમાં સાડા૮ ઇંચ જેટલો અને નવસારી જિલ્લાના ખેરગામમાં ૮ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાના વાપી અને ડાંગના વઘઈમાં સવા૭ ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૭ ઇંચ જેટલો વરસાદ મંગળવારે પડ્યો હતો.
નવસારી અને વલસાડ જિલ્લામાં જળ-કરફ્યુમાં કેદ થયા હજારો લોકો
છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતના કારણે કંઈકેટલાંય ગામો, નગરો અને શહેરોના હજારો લોકો જળકરફ્યુમાં કેદ થયા હતા. મંગળવારે રાતે તેમ જ ગઈ કાલે વરસેલા અનરાધાર વરસાદથી દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત સહિતના જિલ્લાઓ પ્રભાવિત થયા હતા અને અનેક સ્થળોએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે પોલીસ, ફાયરબ્રિગેડ તેમ જ સ્થાનિક તરવૈયાઓ અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમોએ સંખ્યાબંધ સ્થળોએ રેસ્ક્યુ અને સ્થળાંતરની કામગીરી હાથ ધરીને ફસાયેલા અનેક લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.
ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની અંબિકા, પૂર્ણા, ખાપરી, કાવેરી, મીંઢોળા, ઔરંગા, માન, વાંકી સહિતની નદીઓમાં સતત જળ સ્તર વધતા રહ્યા હતા અને પૂરનાં ધસમસતાં પાણી આગળ વધી રહ્યાં હતાં. પૂરનાં પાણી કંઈકેટલાંય ગામો અને શહેરોના કાંઠા વિસ્તારમાં ફરી વળ્યાં હતાં. અવિરત વરસી રહેલા ભારે વરસાદથી નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીની જળસપાટી સતત વધતી રહી હતી. સાંજે ૬ વાગ્યે બાવીસ ફુટની સપાટીએ જળસ્તર પહોંચી ગયું હતું જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.