13 July, 2026 07:42 PM IST | Vapi | Chirantana Bhatt
આ ટેક્નોલૉજીથી કચરો જવાબદારી નહીં, પરંતુ સંસાધન બની જાય છે.
ભારતમાં દર ચોમાસે નગરપાલિકાઓ એક જ મોટી સમસ્યાનો સામનો કરે છે, ભીનો કચરો. વરસાદી પાણીમાં પલળી ગયેલો સજીવ કચરો ન તો સરળતાથી કમ્પોસ્ટિંગ માટે યોગ્ય રહે છે, ન તેનો અસરકારક રીતે ઇન્સિનરેશન થઈ શકે છે અને ન જ પરંપરાગત કચરા વ્યવસ્થાપનની મોટાભાગની પદ્ધતિઓ તેને સ્વીકારી શકે છે. પરિણામે આવો કચરો ઢગલાબંધ એકઠો થતો જાય છે, સડી જાય છે અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને વધારાનો ખર્ચ ઉઠાવવો પડે છે. સામાન્ય દિવસોમાં જે કચરાની કિંમત આશરે રૂ. 1,000 પ્રતિ ટન જેટલી ગણાતી હોય છે, તે જ કચરો ચોમાસામાં લગભગ બિનમૂલ્યવાન બની જાય છે. વર્ષો સુધી દેશભરના કચરા વ્યવસ્થાપનમાં ચોમાસું સૌથી મોટી કડી સાબિત થયું છે. આ જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આજે વાપી નગરપાલિકા ખાતે એક એવી ટેક્નોલોજી કાર્યરત કરવામાં આવી છે, જે ખાસ કરીને ચોમાસામાં ભીના કચરાની પ્રક્રિયા કરવા માટે તૈયાર કરવામાં આવી છે. વળી વાપી જેવા ઇન્ડ્સ્ટ્રીયલ શહેરની વાત કરીએ તો ત્યાં તો પ્રદૂષણ પણ મોટી સમસ્યા છે એટલે વરસાદી ભીનો કચરો નાની સમસ્યા ન જ હોય તે સ્વાભાવિક છે.
વાપી નગરપાલિકાના ટ્રાયલ સાઇટ પર ચેન્નઈસ્થિત Y-Capita Groupની વેસ્ટ-ટુ-વેલ્યૂ કંપની Entity 1 Value Emissions Pvt. Ltd.દ્વારા વિકસાવવામાં આવેલું RCPPR રિએક્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, હાલમાં આ એવી એકમાત્ર વેસ્ટ-પ્રોસેસિંગ સિસ્ટમ છે, જે વરસાદી મોસમ દરમિયાન પણ કોઈ વિક્ષેપ વિના સતત કાર્ય કરી શકે છે. સામાન્ય રીતે કમ્પોસ્ટિંગ અથવા ઇન્સિનરેશન માટે સૂકો કચરો જરૂરી હોય છે, જ્યારે RCPPR રિએક્ટર ભીના કચરાને જેમ છે તેમ સ્વીકારી લે છે. ત્યારબાદ તે નિયંત્રિત ઉષ્મા પ્રક્રિયા દ્વારા અંદાજે એક કલાકમાં તેને બે ઉપયોગી ઉત્પાદનો, ખાતર અને ઇંધણ માં રૂપાંતરિત કરે છે. કંપનીના જણાવ્યા મુજબ, આ સમગ્ર પ્રક્રિયા પછી લેન્ડફિલમાં મોકલવો પડે એવો કોઈ નિષ્ક્રિય (Inert) અવશેષ પણ બચતો નથી.
આ ટેક્નોલોજીનો સૌથી મોટો પ્રભાવ માત્ર પર્યાવરણ પૂરતો મર્યાદિત નથી; તેનો સીધો આર્થિક લાભ પણ છે. સામાન્ય રીતે આશરે રૂ. 1,000 પ્રતિ ટન મૂલ્ય ધરાવતો ભીનો કચરો આ પ્રક્રિયા પછી એવા ઉત્પાદનોમાં પરિવર્તિત થાય છે, જેની અંદાજિત કિંમત રૂ. 20,000 પ્રતિ ટન સુધી પહોંચી શકે છે. એટલું જ નહીં, ચોમાસામાં કચરો ઢગલાબંધ એકઠો રાખવાની ફરજ પડતી નથી. જે દિવસે કચરો આવે, તે જ દિવસે તેની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે આ એક મહત્વપૂર્ણ વ્યવહારુ લાભ બની શકે છે.
આ ટેક્નોલોજીનો મૂળભૂત વિચાર પાવર મેનેજમેન્ટ અને Carbon Capture & Utilisation (CCU)જેવી આધુનિક ઔદ્યોગિક પ્રણાલીઓ સાથે મળતો આવે છે. આવી સિસ્ટમો કોઈ અનિચ્છનીય પદાર્થને ખર્ચ નહીં, પરંતુ એક સંસાધન તરીકે જુએ છે. જેમ કૅપ્ટિવ પાવર પ્લાન્ટમાં વધારાની ઉષ્માને ફરીથી ઉપયોગમાં લઈને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અથવા CCU ટેક્નોલોજીમાં કાર્બન ડાયોક્સાઇડને પકડીને ઔદ્યોગિક ઉપયોગ માટે ફરી કાર્યક્ષમ બનાવવામાં આવે છે, તેવી જ રીતે RCPPR રિએક્ટર પણ વરસાદમાં ભીના થયેલા કચરાને સમસ્યા તરીકે નહીં, પરંતુ કાચા માલ તરીકે જુએ છે. આ પ્રક્રિયામાં કચરો નિયંત્રિત રીતે ગરમ થાય છે અને અંતે બજારમાં ઉપયોગી એવા ખાતર અને ઇંધણમાં પરિવર્તિત થઈ જાય છે. એટલે કે અહીં કચરો જવાબદારી નહીં, પરંતુ સંસાધન બની જાય છે.
આ ટેક્નોલોજી માટે વાપી પ્રથમ પરીક્ષણ સ્થળ નથી. આ વર્ષની શરૂઆતમાં શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટી, તિરુપતિ ખાતે આ જ RCPPR પ્લેટફોર્મનું સફળ ફિલ્ડ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. અનેક રાષ્ટ્રીય અખબારોએ તે અંગે અહેવાલ પણ પ્રકાશિત કર્યા હતા. ત્યાં મ્યુનિસિપલ ઘન કચરા અને નાળિયેરના કચરાની સફળ પ્રક્રિયા કરીને સિસ્ટમની કામગીરીનું પ્રમાણિત પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અહીં એ જ ટેક્નોલોજી હવે ચોમાસામાં ભીના કચરા, વાસ્તવિક નગરપાલિકા સ્તરના સંચાલનઅને સતત વરસાદી પરિસ્થિતિઓ વચ્ચે કાર્યક્ષમ રહે છે કે નહીં તેની ચકાસણી થઈ રહી છે. આ જ એવી ખામી હતી, જેને પરંપરાગત કચરા વ્યવસ્થાપન પદ્ધતિઓ હજુ સુધી દૂર કરી શકી નથી. કદાચ આ જ કારણ છે કે વાપી નગરપાલિકાએ સૂકી ઋતુની રાહ જોવાને બદલે સીધા ચોમાસામાં જ આ ટેક્નોલોજીને કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે. જો તિરુપતિએ આ ટેક્નોલોજી કાર્ય કરી શકે છે તે સાબિત કર્યું હોય, તો હવે વાપી એ સાબિત કરશે કે તે ચોમાસામાં, વાસ્તવિક નગરપાલિકા સ્તરે અને મોટા પાયે પણ સફળતાપૂર્વક કાર્ય કરી શકે છે.