12 April, 2026 10:25 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પાછા ફરેલા ચારેય અવકાશયાત્રીઓ
અમેરિકાની અવકાશી સંસ્થા નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA-નાસા)ના આર્ટેમિસ II મિશનના ૪ અવકાશયાત્રીઓ ચંદ્રના થ્રેશોલ્ડને સ્પર્શ કર્યા પછી ગઈ કાલે વહેલી સવારે પૃથ્વી પર સફળતાપૂર્વક પાછા ફર્યા હતા. તેમની ઓરિયન કૅપ્સ્યુલ ૧૧ એપ્રિલે ભારતીય સમય મુજબ સવારે ૫.૩૭ વાગ્યે અમેરિકાના સૅન ડીએગોના કિનારે પૅસિફિક મહાસાગરમાં ઊતરી હતી. આ મિશન બીજી એપ્રિલે શરૂ થયું હતું.
૧૯૭૨ પછી પહેલી વાર માનવો ચંદ્રની આટલી નજીક પહોંચ્યા હતા. ૬ એપ્રિલે આર્ટેમિસ II અવકાશયાત્રીઓએ પૃથ્વીથી સૌથી દૂરનું અંતર કાપીને કોઈ પણ માનવ અવકાશ મિશનનો રેકૉર્ડ તોડ્યો હતો. તેમણે ચંદ્રની કાળી બાજુના ફોટો પણ લીધા હતા.
આ મિશનનો હેતુ સ્પેસક્રાફ્ટની લાઇફ સપોર્ટ સિસ્ટમનું પરીક્ષણ કરવાનો હતો. નાસા જોવા માગે છે કે માનવજાત માટે અવકાશમાં રહેવું કેટલું સલામત છે. અવકાશયાન હજી સુધી ચંદ્રની સપાટી પર ઊતર્યું નથી, પરંતુ ભવિષ્યમાં એ ચંદ્ર પર માનવવસાહત માટે માર્ગ મોકળો કરશે.
૪ અવકાશયાત્રીઓ
આ મિશનમાં અમેરિકાના રીડ વાઇઝમૅન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટીના કોચ અને કૅનેડાના જેરેમી હેન્સનનો સમાવેશ થાય છે. ૫૦ વર્ષથી વધુ સમય બાદ ચંદ્રની નજીક પહોંચનારા તેઓ પ્રથમ માનવ બન્યા હતા. તેઓ ચંદ્ર પર ઊતર્યા નહોતા, તેમના સ્પેસક્રાફ્ટે પૃથ્વીથી ૪,૦૬,૭૭૮ કિલોમીટરનો પ્રવાસ કર્યો. આ અંતર ૧૯૭૦માં પ્રખ્યાત અપોલો ૧૩ મિશન દ્વારા કાપવામાં આવેલા અંતર કરતાં લગભગ ૬૬૦૬ કિલોમીટર વધુ છે.
૨૦૨૮માં ચંદ્ર પર ઉતરાણ માટેની તૈયારીઓ
આર્ટેમિસ IIની સફળતાએ ૨૦૨૮માં માનવજાતના ઉતરાણ માટે માર્ગ મોકળો કર્યો છે. નાસાનું લક્ષ્ય માત્ર ચંદ્ર પર ફરી મુલાકાત લેવાનું જ નથી, પરંતુ ત્યાં કાયમી માનવવસાહતનો આધાર સ્થાપિત કરવાનું પણ છે. આ સફળતા સાથે ચંદ્રનો ઉપયોગ હવે મંગળ અને અન્ય ગ્રહોની ભાવિ મુસાફરી માટે લૉન્ચપૅડ તરીકે થઈ શકે છે.