27 October, 2025 11:01 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિને કૅરેબિયન દેશમાં અનોખી ઓળખ અપાવવાની દિશામાં એક મોટું પગલું મંડાઈ રહ્યું છે. ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગોની રાજધાની પોર્ટ ઑફ સ્પેનમાં ભવ્ય રામ મંદિરના નિર્માણની તૈયારીઓ થઈ રહી છે.
લગભગ ૧૫ લાખની વસ્તી ધરાવતા આ દેશમાં સાડાત્રણ લાખથી વધુ હિન્દુઓ રહે છે. આ એ દેશોમાંનો એક છે જ્યાં હિન્દુ ધર્મ અને સાંસ્કૃતિક પરંપરાઓ આજે પણ રાષ્ટ્રીય સ્તરે ખૂબ ઊંડાણપૂર્વક જોડાયેલી રહી છે. એ જ કારણોથી ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગોને લાંબા સમયથી રામાયણના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે.
દેશના પબ્લિક યુટિલિટીઝ ખાતાના પ્રધાન બૅરી પદરથે કહ્યું હતું કે ‘ધાર્મિક નેતાઓ સાથે તાજેતરમાં મળેલી બેઠકમાં આ પહેલને સરકાર તરફથી મજબૂત સમર્થનની જાહેરાત થઈ છે. અહીં સદીઓથી ભારતીય પરંપરાઓ જીવિત છે અને સરકાર આ વિરાસતને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.’