17 March, 2026 12:04 PM IST | Iran | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે ઈરાનમાં રહેતા ભારતીયો માટે તેહરાનમાં આવેલા ભારતીય દૂતાવાસે એક નવી ઍડ્વાઇઝરી જાહેર કરી હતી. એમાં ભારતીય નાગરિકોને કડક સલાહ આપવામાં આવી છે કે કોઈએ દૂતાવાસને જાણ કર્યા વિના ઈરાનની સરહદ પાર કરવાની કોશિશ ન કરવી. ઍડ્વાઇઝરીમાં કહેવાયું છે કે ‘દૂતાવાસ ભારતીય સમુદાયના લોકો માટે સતત સંપર્કમાં છે અને જરૂર પડ્યે મળીને જરૂરી વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ. એવામાં દૂતાવાસને જાણ કર્યા વિના સરહદ તરફ આગળ વધવાની બિલકુલ મનાઈ છે. જે લોકો જાણ કર્યા વિના ઈરાન છોડવાની કોશિશ કરશે તેમને ગંભીર પરેશાનીઓ અને ઇમિગ્રેશન સાથે સંકળાયેલી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. એવા સંજોગોમાં દૂતાવાસ તરફથી તેમને કોઈ મદદ નહીં મળી શકે.’
ઈરાન દ્વારા ડ્રોન હુમલા બાદ દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ નજીક આગ ફાટી નીકળ્યા બાદ દુબઈ સિવિલ એવિએશન ઑથોરિટીએ દુબઈ ઍરપોર્ટ પર ફ્લાઇટ્સ હંગામી ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. મુસાફરોને તેમની ફ્લાઇટ્સ સંબંધિત અપડેટ્સ માટે તેમની સંબંધિત ઍરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. કેટલીક ફ્લાઇટ્સ દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી અલ મકતૂમ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ તરફ ડાઇવર્ટ કરવામાં આવી છે. વધુ અપડેટ્સ ઉપલબ્ધ થતાંની સાથે જ સત્તાવાર ચૅનલો દ્વારા જાહેર કરવામાં આવશે.