06 January, 2026 02:30 PM IST | Dhaka | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
છેલ્લા ઘણા સમયથી ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા ચાલી રહી છે. હિન્દુઓ પર હુમલો કરી તેમની ક્રૂર હત્યા કરવામાં આવી રહી હોવાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં હવે બાંગ્લાદેશમાંથી ફરી એક આઘાતજનક સમાચાર આવી રહ્યા છે. આહેવાલ મુજબ નરસિંડી જિલ્લાના ચારસિંદુર બજારમાં કરિયાણાની દુકાન ચલાવતા મણિ ચક્રવર્તી નામના વ્યક્તિની છરીના અનેક ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જેના પછી વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે કેટલાક લોકો મણિ ચક્રવર્તીની દુકાનમાં ઘૂસી ગયા અને મણિ ચક્રવર્તી પર છરી વડે હુમલો કર્યો. આ લોકોએ મણિનો જીવ ન ગયો ત્યાં સુધી તેમના પર હુમલો કરવાનું શરૂ જ રાખ્યું. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં હિન્દુઓને નિશાન બનાવીને આ બીજો હુમલો કરવાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુઓને નિશાન બનાવીને સતત હુમલા થઈ રહ્યા છે. આ હુમલો ભીડભાડવાળા બજારમાં કરવામાં આવ્યો હતો. હુમલા બાદ સ્થાનિક લોકો આગળ આવ્યા અને મણિ ચક્રવર્તીને હૉસ્પિટલમાં દાખલ કર્યા. જોકે, હૉસ્પિટલ પહોંચતા પહેલા જ મણિનું મૃત્યુ થયું. આ ઘટના અંગે સરકાર કે સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર હુમલાઓમાં તીવ્ર વધારો થવાથી ખળભળાટ મચી ગયો છે. આ ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે. આ ઘટનાઓ સામે ભારતમાં પણ મોટો વિરોધ જોવા મળી રહ્યો છે.
બાંગ્લાદેશમાં સોમવારે મોનિરામપુરના કપાલિયા બજારમાં સાંજે ૫.૪૫ વાગ્યે હુમલાખોરોએ રાણા પ્રતાપ બૈરાગી પર અચાનક જ ગોળીઓ ચલાવી દીધી હતી. ગોળીબારમાં રાણા પ્રતાપનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ૪૫ વર્ષના રાણા પ્રતાપ હિન્દુ બિઝનેસમૅન હતા અને બાંગ્લાદેશમાં આઇસ ફૅક્ટરી ચલાવતા હતા. તેઓ ‘બીડી ખોબોર’ નામના એક દૈનિક વર્તમાનપત્રના કાર્યકારી તંત્રી તરીકે કામ કરી ચૂક્યા હતા. રાણા પ્રતાપ બજારમાં કામસર ગયા હતા અને તેમના પર અચાનક ગોળીઓ ચલાવવામાં આવતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસના કહેવા મુજબ હજી સુધી હુમલાખોર કોણ હતો એની ઓળખ નથી થઈ શકી. છેલ્લાં ત્રણ અઠવાડિયાંમાં હિન્દુ અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસાની આ પાંચમી ઘટના છે. હિન્દુઓ પરના હુમલાને બાંગ્લાદેશની સરકાર સામાન્ય ગુનાઓની ઘટના ગણાવી રહી છે. જોકે શેખ હસીનાની સરકારના પતન પછી બનેલી વચગાળાની સરકારમાં કટ્ટરપંથી તત્ત્વો વધુ સક્રિય થઈ ગયાં છે
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર રાક્ષસી અત્યાચાર કરવાની ઘટના દિનપ્રતિદિન વધુ ડરામણી થઈ રહી છે. હિન્દુઓની નિર્મમ હત્યા પછી હવે એક મહિલા સાથે હેવાનિયતની ઘટના સામે આવી છે. બાંગ્લાદેશના ઝેનૈદાહ જિલ્લાના કલિગંજમાં ૪૦ વર્ષની એક હિન્દુ મહિલા પર બે પુરુષોએ ગૅન્ગરેપ કર્યો હતો અને પછી તેને ઝાડ સાથે બાંધીને તેના વાળ કાપી નાખ્યા હતા. પીડિત મહિલાના પતિનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તે બાળક સાથે એકલી રહે છે. પીડિત મહિલાએ અઢી વર્ષ પહેલાં આ વિસ્તારમાં ૨૦ લાખ રૂપિયામાં જમીન અને બે માળનું મકાન ખરીદ્યાં હતાં. જેની પાસેથી આ મિલકત ખરીદી હતી તેણે જ ઘરમાં ઘૂસીને એક દોસ્તની સાથે મળીને રેપ કર્યો હતો. મહિલાએ બૂમો પાડી તો તેને ઘરની બહારના એક ઝાડ સાથે બાંધીને તેના વાળ કાપી નાખ્યા હતા અને મારપીટ કરી હતી. આરોપીઓએ આ ઘટનાનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. મહિલા બેહોશ થઈ ગયા પછી સ્થાનિક લોકોએ તેને હૉસ્પિટલમાં ભરતી કરી હતી.