12 February, 2026 05:27 PM IST | Dhaka | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સંસદીય ચૂંટણી દરમિયાન મતદાન મથકનની બહાર મતદાન કર્યા પછી, જમાત-એ-ઇસ્લામીના નેતા શફીકુર રહેમાને મીડિયા સાથે વાત કરી (એજન્સી)
બાંગ્લાદેશમાં 13મી સંસદીય ચૂંટણી માટે મતદાન ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 202૬ ના રોજ પૂર્ણ થયું. આ ચૂંટણીને 202૪ ના હિંસક આંદોલન, શેખ હસીના સરકારની હકાલપટ્ટી અને પ્રોફેસર મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના પછી એક મહત્ત્વપૂર્ણ રાજકીય વળાંક માનવામાં આવી રહ્યો છે. મતદાન સવારે 7:30 વાગ્યે શરૂ થયું અને સાંજે ૪:30 વાગ્યા સુધી ચાલુ રહ્યું. કુલ 299 બેઠકો માટે મતદાન થયું, જ્યારે એક ઉમેદવારના મૃત્યુને કારણે એક બેઠક મુલતવી રાખવામાં આવી. બપોરે 12 વાગ્યા સુધીમાં 32.88 ટકા મતદાન નોંધાયું. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે કેટલીક અણધારી ઘટનાઓ છતાં, કોઈપણ મતદાન મથક પર મતદાન રોકવામાં આવ્યું ન હતું અને પરિસ્થિતિ નિયંત્રણમાં રહી. મતદાન પૂર્ણ થયા બાદ, મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે મતપેટીઓ સીલ કરી સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે નાઓગાંવ અને મુન્શીગંજ જેવા વિસ્તારોમાં ગેરરીતિઓના અહેવાલો મળ્યા હતા, પરંતુ મતદાન પૂર્ણ થયું હતું.
વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે ઢાકાની ગુલશન મોડેલ હાઇ સ્કૂલ અને કૉલેજ ખાતે સવારે 10:26 વાગ્યે મતદાન કર્યું. તેમણે આ દિવસને ‘નવા બાંગ્લાદેશનો જન્મદિવસ’ ગણાવ્યો અને શાંતિપૂર્ણ રીતે ભાગ લેવાની અપીલ કરી. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને પણ લોકોને ડર્યા વિના મતદાન કરવા વિનંતી કરી અને અહેવાલ આપ્યો કે દેશભરમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું છે. BNPના વડા તારિક રહેમાને મતદાન પછી પરિણામોની વહેલી જાહેરાત કરવાની માગ કરી, કહ્યું કે વિલંબથી મૂંઝવણ થઈ શકે છે. જમાત-એ-ઇસ્લામીના વડા શફીકુર રહેમાને પણ મતદાન કર્યું.
મતદાન દરમિયાન અનેક ઘટનાઓ નોંધાઈ હતી. નાઓગાંવ જિલ્લાના કટાખૈર હાઇસ્કૂલ કેન્દ્રના પ્રિસાઇડિંગ ઓફિસર નાઝીમ ઉદ્દીને મત ગણતરી પૂર્ણ થાય તે પહેલાં પરિણામ પત્રક પર સહી કરી હોવાનો આરોપ છે. ફરિયાદ બાદ, સહાયક રિટર્નિંગ ઓફિસર અને યુએનઓ મોહમ્મદ ઇબ્નુલ આબેદીને બપોરે 1:30 વાગ્યે તેમને ફરજ પરથી હટાવી દીધા હતા. મુન્શીગંજમાં એક મતદાન મથકની બહાર કોકટેલ બૉમ્બ વિસ્ફોટ થયો. કોઈ જાનહાનિની પુષ્ટિ થઈ નથી, પરંતુ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખુલ્નામાં એક મતદાન મથકની બહાર થયેલી અથડામણમાં 55 વર્ષીય BNP નેતા મોહિબુઝમાન કોચીનું મૃત્યુ થયું. BNPએ આરોપ લગાવ્યો હતો કે તેમને ધક્કો મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું માથું ઝાડ સાથે અથડાયુ હતું. જમાતે જણાવ્યું હતું કે અંધાધૂંધીમાં તેમની તબિયત બગડી ગઈ હતી અને તેઓ પડી ગયા હતા. નોઆખલી-6 માં ચૂંટણી કવરેજ કરી રહેલા પત્રકાર મિરાજ ઉદ્દીન પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એવો આરોપ છે કે આ હુમલામાં BNP સાથે સંકળાયેલા વ્યક્તિઓ સામેલ હતા.
ઢાકા-9 માં અપક્ષ ઉમેદવાર તસ્નીમ ઝારાએ આરોપ લગાવ્યો હતો કે તેમના મતદાન એજન્ટોને ઘણા મતદાન મથકોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જમાતના વડા શફીકુર રહેમાને ઢાકા-15 માં 13 મતદાન મથકો પર તોડફોડનો આરોપ લગાવ્યો હતો. પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી ન હતી. ચૂંટણી પહેલા રોકડ જપ્તી, મતદાન મથકોમાં ઘૂસણખોરી અને મતદાનમાં ગેરરીતિઓના અહેવાલો પણ સામે આવ્યા હતા. અવામી લીગે ચૂંટણીઓને ‘બનાવટી’ ગણાવી હતી અને આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માગ કરી હતી. પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે તેના સમર્થકોને ધમકીઓ, ધરપકડો અને હિંસાનો સામનો કરવો પડ્યો હતો અને લોકમતને ગેરબંધારણીય ગણાવ્યો હતો. તેણે વિદેશી નિરીક્ષકોને પ્રક્રિયા પર નજર રાખવાની અપીલ કરી હતી. આવામી લીગનો ગઢ ગણાતા ગોપાલગંજમાં સવારે ઓછું મતદાન થયું હતું.