19 February, 2026 09:03 AM IST | Canada | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કૅનેડા સરકારે ૨૦૨૫ના પહેલા ૧૦ મહિનામાં કૅનેડામાંથી ૨૮૩૧ ભારતીય નાગરિકોને દેશનિકાલ આપ્યો હતો. આ જાણકારી કૅનેડિયન બૉર્ડર સર્વિસિસ એજન્સીના આંકડાઓમાં બહાર આવી છે. કૅનેડાએ ગયા વર્ષે ૧૮,૭૮૫ વિદેશી નાગરિકોને કાઢ્યા હતા. એમાં ભારતીયોની સંખ્યા બીજા નંબરે છે. હજી ૨૯,૫૪૨ વિદેશીઓને હાંકી કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. એમાંથી ૬૫૧૫ ભારતીયો છે.
કૅનેડા સરકારે કહ્યું હતું કે ‘જે લોકોને કાઢ્યા હતા એમાંથી અનેક પર ક્રિમિનલ કેસ હતા. જોકે મોટા ભાગના લોકો એ હતા જેમણે શરણાર્થી દાવા સાથે સંકળાયેલા નિયમોનું યોગ્ય પાલન નહોતું કર્યું.’
કૅનેડામાંથી કોઈને પણ બહાર કરવાના મુખ્ય ત્રણ રસ્તા છે: ડિપાર્ચર ઑર્ડર, એક્સક્લુઝન ઑર્ડર અને ડિપૉર્ટેશન ઑર્ડર. જે લોકોને ડિપાર્ચર ઑર્ડર મળે છે તેમણે ૩૦ દિવસની અંદર કૅનેડા છોડવાનું રહે છે. જો કોઈ સમયસર એમ ન કરે તો ડિપૉર્ટેશન ઑર્ડર એટલે કે તત્કાળ દેશવાપસી કરાવવામાં આવે છે અને તેમને કૅનેડા આવવા પર કાયમી પ્રતિબંધ લાગી જાય છે. એક્સક્લુઝન ઑર્ડરમાં વ્યક્તિ પર એક વર્ષ માટે કૅનેડા આવવા પર પ્રતિબંધ હોય છે.