05 July, 2026 09:07 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે તેહરાનના ઓપન ગ્રાઉન્ડમાં મુકાયેલા અલી ખામેનેઈના કૉફિનનાં અંતિમ દર્શન માટે લાખોની સંખ્યામાં જનમેદની એકઠી થઈ હતી.
ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયતોલ્લા અલી ખામેનેઈના શનિવાર સવારથી શરૂ થયેલા અંતિમ સંસ્કારના કાર્યક્રમો દરમિયાન જંગી ભીડને કારણે ૧૫૦૦થી ૩૦૦૦ લોકોનાં મોત થઈ શકે છે એવી આશંકા સેવાઈ રહી છે. જર્મનીના પ્રતિષ્ઠિત અખબાર ‘ડાય વેલ્ટ’ના અહેવાલ મુજબ ઈરાનની રેડ ક્રેસન્ટ અને નૅશનલ ક્રાઇસિસ મૅનેજમેન્ટ ઑર્ગેનાઇઝેશન દ્વારા દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ-રેઝા આરિફને એક અત્યંત ગુપ્ત પત્ર મોકલવામાં આવ્યો છે. આ પત્રમાં સંભવિત નાસભાગ કે અન્ય અકસ્માતોને કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થવાની ચેતવણી આપીને કટોકટીની યોજનાઓ તૈયાર રાખવા જણાવાયું છે. માત્ર તેહરાનમાં જ આગામી ત્રણ દિવસમાં આશરે દોઢથી બે કરોડ લોકો આ શોકસભામાં ભાગ લે એવી સત્તાવાર શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ગત ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલના હવાઈ હુમલામાં ૮૬ વર્ષીય ખામેનેઈનું મોત નીપજ્યું હતું.
અમે દયાળુ છીએ, એટલે જ અંતિમ વિધિ માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે : ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પર આકરો કટાક્ષ કરતાં નિવેદન આપ્યું છે કે અમે ઈરાનની હાલત ખરાબ કરી નાખી છે અને તેઓ હવે અમારી સાથે સમજૂતી કરવા માટે છટપટી રહ્યા છે. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે ‘અમે ખૂબ દયાળુ છીએ, એટલા માટે જ અમે તેમને અંતિમ સંસ્કાર પૂર્ણ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે, આ વાત સાચી છે.’