મેહુલ ચોક્સીને ભારત લાવવા ગયેલી ટીમ ડોમિનિકાથી ખાલી હાથે પાછી ફરી

04 June, 2021 04:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિશેષ ટીમ પાછળ ખર્ચાયા ત્રણ કરોડ રુપિયા

ફાઈલ તસવીર

ભારત સરકારે પીએનબી ગોટાળા (PNB Scam) મામલામાં વોન્ટેડ ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી (Mehul Choksi)ને ભારત પાછા લાવવા માટે એક વિશેષ ટીમ મોકલી હતી. પરંતુ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણમાં વધારે સમય લાગે તેમ હોવાથી આ ટીમ ડોમિનિકાથી ખાલી હાથે પાછી ફરી છે. ડોમિનિકા કોર્ટે મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી દીધી છે અને હાલ આ મામલે સુનાવણી પાછી ઠેલી દીધી છે.

સુત્રોએ આપેલી માહિતી મુજબ, ડોમિનિકાથી વિશેષ વિમાન ભારત પરત ફરી રહ્યું છે. માનવામાં આવે છે કે ચોક્સીને લેવા ગયેલા વિશેષ વિમાન અને સ્પેશિયલ ટીમનો ખર્ચ અંદાજે ત્રણ કરોડ રુપિયા  થયો છે. ૨૮મેના રોજ સ્પેશિયલ ટીમ ખાસ વિમાન લઈને ડોમિનિકા પહોંચી ગઈ હતી અને ત્રીજી જૂને રાતે પરત આવી ગઈ છે. આઠ દિવસની ડોમિનિકા મુલાકાત પછી પણ મેહુલ ચોક્સીને ભારતમાં પરત લાવી શકાયો નથી અને દેશે એની પાછળ ત્રણ કરોડ રુપિયાનો ખર્ચ કરી દીધો છે.

મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે ૨૮ મેના રોજ વિશેષ વિમાન રવાના થયું હતું. પરંતુ ત્યાં તેના પ્રત્યાર્પણમાં મુશ્કેલીઓ આવ્યા પછી ડોમિનિકા મોકલવામાં આવેલું પ્રાઈવેટ જેટે ગુરુવારે રાતે ૮.૧૦ વાગે ત્યાંથી ઉડાન ભરી હતી તેમ સુત્રોએ જણાવ્યું છે.

નોંધનીય છે કે, મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે બોમ્બાર્ડિયર ગ્લોબલ જેટ ૫૦૦ મોકલવામાં આવ્યું હતું. આ વિમાન કતર એરવેઝનું છે. એના એક કલાકનું અંદાજિત ભાડું ૯ લાખ રૂપિયા છે. આમ તેને પરત લાવવા માટે ભારત સરકારે ઘણો ખર્ચ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, મેહુલ ચોકસી અને તેના ભત્રીજા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે ૧૩,૫૦૦ કરોડની કથિત રીતે છેતરપિંડી કરી છે. નીરવ મોદી લંડનની એક જેલમાં કેદ છે અને તે ભારત પ્રત્યર્પિત કરવાની વિરુદ્ધ કેસ લડી રહ્યો છે. જ્યારે મેહુલ ચોકસીએ વર્ષ ૨૦૧૭માં એન્ટિગુઆ અને બારબુડાની નાગરિકતા લીધી હતી અને જાન્યુઆરી ૨૦૧૮ના પહેલા અઠવાડિયામાં ભારતથી ભાગી ગયો હતો. ત્યારબાદ આ ગોટાળો સામે આવ્યો હતો.

international news