20 April, 2026 04:52 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા બે ભારતીય જહાજો પર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ભારતે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે, તેને ગંભીર બાબત ગણાવી. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે આ પ્રદેશમાં તણાવ ફરી એક વખત વધી રહ્યો છે.
ભારતીય જહાજ પર થયેલા હુમલા અંગે અમેરિકા મીડિયાના એક રિપોર્ટર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે ભારતીય જહાજો પરના હુમલા અંગે અમેરિકાનું શું વલણ છે? તે જાણવા માટે પ્રશ્ન પૂછ્યો. જોકે તે વાતને લઈને ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા હોવાનું જોવા મળ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટ્રમ્પને પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે રિપોર્ટરને રૂમમાંથી બહાર જવાનું કહીંને નારાજગી વ્યક્ત કરી. આ ઘટના બાદ, તેમના વર્તનની સોશિયલ મીડિયા પર ટીકા થઈ હતી. વીડિયો શૅર કરતા, રિપોર્ટર ઓલિવિયા રિનાલ્ડીએ એમ પણ કહ્યું કે તેમણે ટ્રમ્પને ફક્ત હુમલા સંબંધિત પ્રશ્નો પૂછવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના એવા સમયે બની હતી જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ રહી નથી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ટ્રમ્પે ઇમરજન્સી સિચ્યુએશન રૂમમાં એક બેઠક બોલાવી હતી, જે આ બાબત પ્રત્યે વહીવટની ગંભીરતા દર્શાવે છે. આ દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ માધ્યમથી કે દબાણ કરી યુનાઇટેડ સ્ટેટ્સ કરાર માટે તૈયાર છે અને આશા છે કે આવો સોદો થશે. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ઈરાન કરાર પર પહોંચવામાં નિષ્ફળ જાય, તો યુનાઇટેડ સ્ટેટ્સ કડક પગલાં લઈ શકે છે, જેમાં પુલ અને પાવર પ્લાન્ટ જેવા મહત્ત્વપૂર્ણ માળખા પર હુમલાનો સમાવેશ થાય છે.
ભારતીય જહાજો પરના હુમલા અને ત્યારબાદની પ્રતિક્રિયાઓએ પ્રાદેશિક તણાવમાં વધુ વધારો કર્યો છે. ભારતની પ્રતિક્રિયા અને અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા નિવેદનબાજીને કારણે પરિસ્થિતિ વધુ જટિલ બનતી જાય છે.
બ્રિટિશ સૈન્યએ શનિવારે અહેવાલ આપ્યો હતો કે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડની બે ગનબોટોએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ટેન્કર પર ગોળીબાર કર્યો હતો. યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરે અહેવાલ આપ્યો હતો કે ટેન્કર અને તેના ક્રૂ સુરક્ષિત હોવાનું જણાવાયું હતું, પરંતુ જહાજ કે તેના ગંતવ્ય સ્થાનની ઓળખ કરી ન હતી.