04 June, 2026 09:35 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
કુવૈત ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઈરાનના બૉમ્બમારાને કારણે ફાટી નીકળેલી આગ બુઝાવી રહેલા ફાયર-ફાઇટર્સ.
ઈરાને ગઈ કાલે કુવૈત ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર હુમલો કર્યો હતો જેમાં એક ભારતીયે જીવ ગુમાવ્યો હતો. કુવૈત સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઘણાં ડ્રોન અને મિસાઇલોએ ઍરપોર્ટના T1 પૅસેન્જર બિલ્ડિંગને નિશાન બનાવ્યું હતું, જેનાથી બિલ્ડિંગને નુકસાન થયું હતું અને ૬૩ લોકો ઘાયલ થયા હતા. તેમને વિવિધ હૉસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ કુવૈત ઍરપોર્ટે ફ્લાઇટની કામગીરી સ્થગિત કરી દીધી હતી. ભારતીય વ્યક્તિના મૃત્યુની વાતને કુવૈતમાં ભારતીય દૂતાવાસે પુષ્ટિ આપી હતી.
બીજી તરફ ઈરાને બાહરિનમાં આવેલા અમેરિકાના ફિફ્થ ફ્લીટના મુખ્યાલય અને હેલિકૉપ્ટર બેઝ પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો. અમેરિકાએ કહ્યું હતું કે એણે એના બેઝ પર છોડવામાં આવેલી તમામ ઈરાની મિસાઇલોને અટકાવી દીધી હતી. બે મિસાઇલો નિશાન ચૂકી હતી અને ત્રણને આંતરીને નષ્ટ કરવામાં આવી હતી.
અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોએ કહ્યું હતું કે હોર્મુઝમાં અમેરિકાની નાકાબંધી બાદ ઈરાન હવે કમર્શિયલ જહાજોને નિશાન બનાવે છે અને એના પર ગોળીબાર કરે છે.