27 August, 2026 12:18 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent
ભારત તરફથી રાહતસામગ્રી તાત્કાલિક ધોરણે નેપાલ જવા રવાના થઈ હતી.
વિનાશક પૂરને કારણે નેપાલમાં ૯૮ અને તિબેટમાં ૩ મળીને અત્યાર સુધીમાં કુલ ૧૦૧ લોકોનાં મોત થયાં છે. નેપાલ પોલીસના રિપોર્ટ મુજબ સૌથી વધુ ૩૩ મૃતદેહ ચિતવન જિલ્લામાંથી મળ્યા છે. આ ઉપરાંત ધાદિંગમાં ૧૮, ગોરખામાં ૧૬, નુવાકોટમાં ૧૧, નવલપુરમાં ૧૧, તનહૂનમાં પાંચ અને રસુવામાં ૧ વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે.
૬૦૭ મિસિંગ : નેપાલ પોલીસ અને ટૂરિઝમ બોર્ડના આંકડા અનુસાર ગુમ થયેલા પ્રવાસીઓની સંખ્યા વધીને ૬૦૭ ઉપર પહોંચી છે. એમાં ૨૮ અલગ-અલગ દેશોના નાગરિકો અને નેપાલી નાગરિકો સામેલ છે.
સેંકડો ભારતીયોની ભાળ નથી: ગુમ થયેલા વિદેશી નાગરિકોમાં કૈલાસ-માનસરોવરની યાત્રાએ ગયેલા ૧૩૩ ભારતીયો ઉપરાંત અમેરિકાના ૫૪ અને બ્રિટનના ૩૩ નાગરિકો સામેલ છે. તામિલનાડુના પ્રવાસીઓની એક બસ પહાડી માર્ગ પરથી નીચે ખાબકતાં ૪૦થી વધુ લોકોની કોઈ ભાળ મળી નથી.
તિબેટના ગ્યિરૉન્ગમાં તબાહી: તિબેટ સરહદે આવેલા ગ્યિરૉન્ગ વિસ્તારમાં કાદવ અને પૂરના ધસમસતા પ્રવાહથી ભારે નુકસાન થયું છે. અહીં ૩ લોકોનાં મોત થયાં છે અને ૨૬૫ લોકો લાપતા છે. ચીની ઍર ફોર્સે ડ્રોન ઉડાડીને નુકસાનીનું સર્વેક્ષણ શરૂ કર્યું છે અને રેસ્ક્યુ મિશન માટે ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ તથા હેલિકૉપ્ટર તહેનાત કર્યાં છે.
બ્રિજ અને માળખાગત સુવિધાઓ ધ્વસ્ત: ત્રિશૂલી નદી પર આવેલા ઘાટબેસી બ્રિજ અને ધાદિંગબેસી બ્રિજ ઉપરવાસમાંથી તણાઈને આવેલા કાટમાળની ટક્કરથી વચ્ચેથી તૂટીને નદીમાં વહી ગયા છે. હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ સહિત રસ્તાઓ અને સંચાર-વ્યવસ્થા સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે.
૧૫ હેલિકૉપ્ટર દ્વારા રેસ્ક્યુ ઑપરેશન: નેપાલ આર્મી અને પ્રાઇવેટ એજન્સીઓનાં ૧૫ હેલિકૉપ્ટર દ્વારા ૨૫૦થી વધુ લોકોને સલામત બહાર કઢાયા છે. ઈજાગ્રસ્તોની સારવાર માટે કાઠમાંડુની બીર હૉસ્પિટલ અને નૅશનલ ટ્રૉમા સેન્ટરમાં ૧૦૦ બેડ અનામત રાખવામાં આવ્યા છે.
ભારત સરકાર દ્વારા ત્વરિત મદદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાલના વડા પ્રધાન બાલેન્દ્ર શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરીને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. વિદેશપ્રધાન એસ. જયશંકરે માહિતી આપી છે કે ભારતે ૧૦ ટન દવા અને અન્ય રાહતસામગ્રી નેપાલ રવાના કરી દીધી છે.
ભારતીય દૂતાવાસની હેલ્પલાઇન કાઠમાંડુસ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોની મદદ માટે +977 9851316807, +977 9709107500 અને +977 9810326117 નંબર જાહેર કર્યા છે, જેના પર વૉટ્સઍપ દ્વારા પણ સંપર્ક કરી શકાશે.