ભારત સુધી રેલવેલાઇન નાખવા ઉત્સુક રશિયા

09 August, 2026 01:51 PM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

હોર્મુઝ અને બોસ્પોરસ ખાડીનાં જોખમો વચ્ચે ભારત સુધી પહોંચવાનો નવો કાયમી માર્ગ શોધવા કરે છે ગંભીર વિચારણા

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ

રશિયાએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ અને બોસ્પોરસ ખાડી વિસ્તારમાં વધી રહેલા ભૌગોલિક તનાવને ધ્યાનમાં રાખીને હિન્દ મહાસાગર સુધી નવો રેલવેમાર્ગ વિકસાવવાની યોજના પર ભાર મૂક્યો છે. રશિયાના નાયબ વડા પ્રધાન મરાત ખુસ્નુલિને જણાવ્યું હતું કે રશિયાથી તુર્કમેનિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈને હિન્દ મહાસાગર તથા ભારત સુધી પહોંચતી વૈકલ્પિક રેલવે-લિન્ક પર ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. 

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી થતા વૈશ્વિક શિપિંગ પર ગંભીર અસર પડી છે. ઈરાને અમેરિકા અને એના સહયોગી દેશોનાં જહાજો માટે આ માર્ગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. વૈશ્વિક સ્તરે પચીસ ટકા ઑઇલ અને ૨૦ ટકા લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG)ના ટ્રાન્સપોર્ટ માટે આ સ્ટ્રેટ અત્યંત સંવેદનશીલ માર્ગ ગણાય છે.

બીજી તરફ રશિયાનું નિર્માણક્ષેત્ર આગામી વર્ષો માટે આશરે એક લાખ કરોડ રૂપિયા (એક ટ્રિલ્યન રૂબલ) સુધીનું વધારાનું માળખાકીય રોકાણ સંભાળવા સક્ષમ છે. પશ્ચિમી દેશો સાથેના તનાવ વચ્ચે ભારત સુધી પહોંચવા માટે નવો સુરક્ષિત જમીની વેપારમાર્ગ ઊભો કરવાની આ કવાયત આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત મહત્ત્વની ગણાય છે.

international news world news russia hormuz strait