વિદેશી સંપત્તિ જાહેર કરવા વિશે સરકારે આપી સુવર્ણ તક

02 February, 2026 10:20 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

બજેટ ૨૦૨૬માં નાના કરદાતાઓ માટે એક વિશેષ વન ટાઇમ વિદેશી આવક જાહેરાત યોજનાની જાહેરાત કરવામાં આવી છે

નિર્મલા સીતારમણ

બજેટ ૨૦૨૬માં નાના કરદાતાઓ માટે એક વિશેષ વન ટાઇમ વિદેશી આવક જાહેરાત યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે છે જેમની વિદેશમાં નાની આવક કે સંપત્તિ છે જે ભૂલથી જાહેર કરવાની રહી ગઈ હોય.

કોને ફાયદો થશે?

વિદ્યાર્થીઓ, વિદેશથી પરત ફરેલા બિનરહીશ ભારતીયો અને ટેક-કર્મચારીઓ કે જેમની પાસે વિદેશી કંપનીઓના ઇસોપ્સ અથવા વિદેશી બૅન્ક ખાતામાં નાની બચત હોય તેમના માટે આ યોજના લાભપ્રદ છે.

યોજનાની મુખ્ય વિગતો

આ યોજનાને બે ભાગમાં વહેંચવામાં આવી છે :

. શ્રેણી A : જેમણે વિદેશી આવક કે સંપત્તિ બિલકુલ જાહેર નથી કરી.

મર્યાદા : કુલ બિનજાહેર આવક કે સંપત્તિ એક કરોડ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

કર : સંપત્તિના હાલના ઉચિત બજારભાવ પર ૩૦ ટકા ટૅક્સ અને ૩૦ ટકા વધારાનો ટૅક્સ (દંડના બદલામાં) ચૂકવવો પડશે.

લાભ : આ રકમ ચૂકવ્યા બાદ કરદાતા સામે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કે દંડ કરવામાં આવશે નહીં.

. શ્રેણી B : જેમણે આવક જાહેર કરી છે, પણ સંપત્તિની વિગત નથી આપી.

મર્યાદા : સંપત્તિની કિંમત પાંચ કરોડ રૂપિયા સુધી.

ફી : માત્ર એક લાખ રૂપિયાની ફી ભરીને આ ભૂલ સુધારી શકાશે.

લાભ : કરદાતાને દંડ અને કાયદેસરની કાર્યવાહીમાંથી મુક્તિ મળશે.

શા માટે યોજના મહત્ત્વની છે?

બ્લૅક-મની ઍક્ટ હેઠળ વિદેશી સંપત્તિ જાહેર ન કરવી એ ગંભીર ગુનો ગણાય છે. ઘણા કિસ્સામાં લોકો જાણતાં-અજાણતાં નાની રકમ કે વિદેશી બૅન્ક ખાતાની માહિતી આપવાનું ચૂકી જતા હોય છે. આ યોજના હેઠળ ૬ મહિનાની મુદત આપવામાં આવશે જેથી લોકો સ્વૈચ્છિક રીતે પોતાની ભૂલ સુધારી શકે.

જો કોઈની વિદેશમાં ૨૦ લાખ રૂપિયાથી ઓછી કિંમતની સ્થાવર મિલકત જાહેર કરવાની રહી ગઈ હોય તો તેમને પણ આ યોજનામાં મોટી રાહત આપવામાં આવશે.

આ યોજના ચોક્કસ સમયમર્યાદા (૬ મહિના) માટે જ ઉપલબ્ધ રહેશે, એની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

international news world news union budget finance news finance ministry nirmala sitharaman