14 June, 2026 08:26 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent
અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોએ ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરને સ્પષ્ટ જણાવ્યું છે કે હોર્મુઝની ખાડીમાં અમેરિકન બ્લૉકેડનું ઉલ્લંઘન કરનારાં વ્યાપારી જહાજોને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં
હોર્મુઝમાં સતત વધી રહેલા સૈન્યના તનાવ વચ્ચે અમેરિકાએ ભારતને આકરા શબ્દોમાં ગર્ભિત ચેતવણી આપી છે. અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોએ ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરને સ્પષ્ટ જણાવ્યું છે કે હોર્મુઝની ખાડીમાં અમેરિકન બ્લૉકેડનું ઉલ્લંઘન કરનારાં વ્યાપારી જહાજોને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. શુક્રવારે બન્ને નેતાઓ વચ્ચે ફોન પર થયેલી વાતચીત દરમ્યાન રુબિયોએ કહ્યું હતું કે તમામ કમર્શિયલ જહાજોએ તાત્કાલિક અમેરિકાના આદેશોનું પાલન કરવું પડશે અને ઈરાની તેલના ગેરકાયદે વહનને રોકવું પડશે.
આ ફોનકૉલ ત્યારે થયો જ્યારે વિદેશપ્રધાન જયશંકર હાલ યુરોપના પ્રવાસે છે. તેમણે ઓમાનના અખાતમાં અમેરિકી સૈન્ય હુમલામાં ૩ ભારતીય નાવિકોનાં કરુણ મોતનો મુદ્દો રુબિયો સમક્ષ ભારપૂર્વક ઉઠાવ્યો હતો. આ સપ્તાહે હોર્મુઝની ખાડી નજીક ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતાં ૩ જહાજો પર અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૩ ભારતીય નાવિકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ ભારતે અમેરિકા સામે સખત વાંધો નોંધાવ્યો છે.ho
નોંધનીય છે કે આ ઘાતક હુમલાના વિરોધમાં ભારતે ગુરુવારે નવી દિલ્હીમાં વરિષ્ઠ અમેરિકન રાજદૂતને આ અઠવાડિયામાં બીજી વખત સમન્સ પાઠવીને ઝાટકણી કાઢી હતી. ભારતીય નાવિકોનાં મોત પર નમતું જોખવાને બદલે અમેરિકાએ ઈરાન પરના પોતાના આર્થિક પ્રતિબંધો અને બ્લૉકેડના નિયમોનું ચુસ્ત પાલન કરવા પર જ ભાર મૂક્યો છે. વૈશ્વિક તેલવ્યાપારના આ વ્યૂહાત્મક માર્ગ પર અમેરિકા અને ભારતના રાજદ્વારી સંબંધોમાં આ ઘટનાને કારણે ભારે ગરમાવો આવી ગયો છે.