28 August, 2026 07:32 AM IST | New York | Gujarati Mid-day Correspondent
મોહન ભાગવત
ન્યુ યૉર્કમાં યોજાનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતના કાર્યક્રમને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. ૨૯ ઑગસ્ટે મૅડિસન સ્ક્વેર ગાર્ડનમાં યોજાનારા કાર્યક્રમના આયોજકોનું સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X અકાઉન્ટ અચાનક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું, જે બાદમાં ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ન્યુ યૉર્કના મેયર ઝોહરાબ મમદાનીએ આ કાર્યક્રમ સામે વિરોધ નોંધાવતાં કહ્યું હતું કે હું સંઘની વિચારધારાનું સમર્થન કરતો નથી, જોકે મ્યુનિસિપાલિટી પાસે કાર્યક્રમ રદ કરવાની સત્તા નથી.
આ વિવાદ વચ્ચે અમેરિકાની એક સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઑન ઇન્ટરનૅશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) દ્વારા ડૉ. મોહન ભાગવતના વીઝા રદ કરવાની માગણી કરવામાં આવી હતી.
ભારત સરકારે આ માગણીને સખત શબ્દોમાં ફગાવી દીધી છે. મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેર્સ (MEA)ના પ્રવક્તાએ આ સંસ્થાને પક્ષપાતી ગણાવીને કહ્યું હતું કે એને ભારતની વાસ્તવિકતા અને વિવિધતા વિશે કોઈ જાણકારી નથી. ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસન સમક્ષ ઊઠેલી આ માગણી વચ્ચે ન્યુ યૉર્કમાં આયોજકો તમામ વિરોધ છતાં કાર્યક્રમ યોજવા માટે પૂરી રીતે તૈયાર છે.