લોકોના મતની કિંમત શું? એવો પ્રશ્ન થઈ રહ્યો છે કલ્યાણ-ડોમ્બિવલીનું રાજકારણ જોઈને

21 January, 2026 08:14 PM IST  |  Kalyan | Gujarati Mid-day Online Correspondent

શ્રીકાંત શિંદેએ સંકેત આપ્યો છે કે ઉદ્ધવ ઠાકરે જૂથના ચાર કાઉન્સિલર પણ તેમના સંપર્કમાં છે. જો આ કાઉન્સિલરો ગઠબંધનમાં જોડાશે, તો શિંદે સેનાને ભાજપ સાથે સત્તા વહેંચવાની જરૂર નહીં પડે અને તેઓ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પોતાના બળ પર સરકાર બનાવી શકશે.

એકનાથ શિંદે અને રાજ ઠાકરે (તસવીર: મિડ-ડે)

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC) માં મેયર અને સરકાર અંગે એક મોટી રાજકીય હલચલ જોવા મળી રહી છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે હવે ગઠબંધન કર્યું છે, અને ચુંટણીના સાથી પક્ષ ભાજપને બાજુ પર રાખ્યો હોવાના અહેવાલ છે. કોંકણ ભવનમાં ઉચ્ચ સ્તરીય બેઠક બાદ શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ આ ગઠબંધનની પુષ્ટિ કરી હતી. 15 જાન્યુઆરીએ યોજાયેલી KDMC ચૂંટણીમાં, શિવસેના (શિંદે જૂથ) એ 53 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે સારું પ્રદર્શન કરીને 50 બેઠકો જીતી હતી. MNS એ માત્ર 5 બેઠકો જીતી હતી, અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાને 11 થી સંતોષ માનવો પડ્યો હતો. 122 સભ્યોની મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સત્તા બનાવવા માટે 62 બેઠકો જરૂરી છે. શિંદે સેના અને MNS વચ્ચેના ગઠબંધન સાથે, આ સંખ્યા 58 પર પહોંચી ગઈ છે, જે બહુમતીથી માત્ર ચાર બેઠકો ઓછી છે.

શિંદેએ મનસે સાથેના જોડાણ પર માર્યો સિક્કો

શ્રીકાંત શિંદેએ સંકેત આપ્યો છે કે ઉદ્ધવ ઠાકરે જૂથના ચાર કાઉન્સિલર પણ તેમના સંપર્કમાં છે. જો આ કાઉન્સિલરો ગઠબંધનમાં જોડાશે, તો શિંદે સેનાને ભાજપ સાથે સત્તા વહેંચવાની જરૂર નહીં પડે અને તેઓ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પોતાના બળ પર સરકાર બનાવી શકશે. ભાજપ મેયરપદના ઉમેદવારો વચ્ચે અઢી વર્ષના વિભાજનની માગ કરી રહ્યું હતું, પરંતુ શિંદે જૂથ સમગ્ર કાર્યકાળ માટે મેયરપદ જાળવી રાખવા માગે છે. મનસેના સમર્થનથી, શિંદે સેના આ મુદ્દે વધુ મજબૂત બની છે. શ્રીકાંત શિંદેએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મેયરપદ અંગે અંતિમ નિર્ણય એકનાથ શિંદે અને ભાજપના નેતા રવિન્દ્ર ચવ્હાણ વચ્ચે ચર્ચા બાદ લેવામાં આવશે, પરંતુ સરકાર તમામ સાથી પક્ષો સાથે રચાશે. આ રાજકીય પલટો ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. રાજ્યમાં મહાયુતિની સરકાર હોવા છતાં, શિવસેના અને ભાજપ KDMCમાં મેયરપદને લઈને આમને-સામને આવી ગયા છે. આ વિકાસની તુલના તાજેતરની અન્ય મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓ સાથે પણ થઈ રહી છે. ડિસેમ્બર 2025માં અંબરનાથ અને અકોલા મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓમાં પણ વિવિધ પક્ષો વચ્ચે આવા જ અણધાર્યા જોડાણો જોવા મળ્યા હતા, જેના પર પાર્ટી નેતૃત્વએ પાછળથી નારાજગી વ્યક્ત કરી હતી.

દરમિયાન, મુંબઈના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અંગે પણ પરિસ્થિતિ સ્પષ્ટ નથી. 227 સભ્યોની BMCમાં બહુમતી માટે 114 બેઠકોની જરૂર છે. મહાયુતિએ 118 વોર્ડ જીત્યા હતા, પરંતુ મેયર પદ પર હજી સુધી સર્વસંમતિ બની નથી. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, શિંદે જૂથે હોર્સ ટ્રેડિંગના કથિત ભયને કારણે તેના નવા ચૂંટાયેલા કાઉન્સિલરોને અસ્થાયી રૂપે એક હૉટેલમાં રાખ્યા હતા. કલ્યાણ-ડોમ્બિવલીથી મુંબઈ સુધી, મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાં સત્તા માટે ચાલી રહેલ આ રસ્સા ખેચ મહારાષ્ટ્રના રાજકારણમાં બદલાતા સમીકરણો અને જોડાણોને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. અને મતદાતાઓના મતની શું કિંમત છે તેવો પણ પ્રશ્ન થઈ રહ્યો છે.

kalyan dombivali municipal corporation municipal elections eknath shinde kalyan dombivli gujarati mid day raj thackeray shiv sena maharashtra navnirman sena bharatiya janata party uddhav thackeray