25 April, 2024 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હોસ્પિટલમાં લઈ જાવતા કામગારની તસવીર
મલાડ-ઈસ્ટના રાણીસતી માર્ગ પર આવેલા રાહેજા ટાવર અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની ૪૦ ફુટ ઊંડી સેપ્ટિક ટૅન્કમાં ૩ કામગારો પડી ગયા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) તરફથી જણાવ્યા મુજબ આ ઘટના ગઈ કાલે બપોરે ૩.૫૦ વાગ્યે બની હતી. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જવાનો ખાસ બૉડી-સૂટ પહેરી ઑક્સિજનની ટૅન્ક લઈને દોરડા વડે સેપ્ટિક ટૅન્કમાં ઊતર્યા હતા અને ૩ કામદારોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ત્રણે કામદારોને ટ્રૉમા કૅર હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ટ્રૉમા કૅર હૉસ્પિટલનાં ડૉ. લીના માનેએ જણાવ્યું હતું કે ૫૦ વર્ષના રાજુ અને ૩૫ વર્ષના જાવેદ શેખને ડૉક્ટરોએ તપાસીને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ૧૯ વર્ષના અકિબ શેખની હાલત ગંભીર હોવાથી તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી.