11 February, 2026 12:01 PM IST | Baramati | Gujarati Mid-day Correspondent
અજિત પવારના અકસ્માતમાં મૃત્યુને લઈને રોહિત પવારે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી હતી અને કેટલીક શંકાઓ વ્યક્ત કરી હતી. તસવીર : સમીર સૈયદ અબેદી
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારના ભત્રીજા રોહિત પવારે તેમના કાકાના આકસ્મિક મૃત્યુ પર કેટલાક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. રોહિત પવારે કહ્યું હતું કે છેક છેલ્લી ઘડીએ અજિત પવારનો બારામતી જવાનો પ્લાન બદલાયો કે કોઈએ બદલાવ્યો એ જોવું પડશે. રોહિત પવારે કહ્યું હતું કે ‘અજિત પવાર છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ કાળજી રાખતા હતા. તેમણે પ્લાસ્ટિકની બૉટલમાંથી પાણી પીવાનું પણ બંધ કરી દીધું હતું.’
એ જ સમયે રોહિત પવારે યાદ કર્યું કે અજિતદાદાએ તેને વિમાન કે હેલિકૉપ્ટરમાં મુસાફરી કરતી વખતે કોઈ વિશ્વસનીય વ્યક્તિનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. અજિત પવારનું અકસ્માતમાં મૃત્યુ કાવતરું લાગી રહ્યું છે એવી શંકા રોહિત પવારે વ્યક્ત કરી હતી.
અજિત પવારનું ૨૮ જાન્યુઆરીએ મુંબઈથી બારામતી જતી વખતે વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ ઘટનાના ૧૩ દિવસ પછી રોહિત પવારે એક પ્રેસ-કૉન્ફરન્સ યોજીને એના પર કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. રોહિત પવાર આ સંદર્ભમાં તેમની પાસે રહેલી હકીકતો પણ બહાર લાવ્યા હતા.
વિમાનમાં સ્ટૉલ વૉર્નિંગ સિસ્ટમ બંધ હતી. એથી કેટલીક બાબતો અગાઉથી સમજી શકાઈ નહોતી. વિમાન ખૂબ ઓછી ઊંચાઈએ ઊડતું હતું તો શું એન્હૅન્સ ગ્રાઉન્ડ પ્રોક્ઝિમિટી વૉર્નિંગ સિસ્ટમ
(EGPWS)ની ચેતવણી હતી કે નહીં? એની અલર્ટ કેમ ન સંભળાઈ? રોહિત પવારે આવા કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા.
શું કંપની ભારે બેઝ મેઇન્ટેનન્સ કરી શકતી નહોતી? આવો રિપોર્ટ કોણે આપ્યો? રોહિત પવારે આ કેસમાં ક્લીનર એન્જિનિયર, ક્વૉલિટી એન્જિનિયર અને મેઇન્ટેનન્સ એન્જિનિયર સામે કાર્યવાહી કરવાની પણ માગણી કરી હતી.
૧. અજિતદાદા કાર દ્વારા બારામતી જવાના હતા, પરંતુ એક નેતાની સલાહથી દાદા ફાઇલ પર સહી કરવા રોકાયા હતા. તેઓ મોડા પડ્યા હતા. ઉપરાંત તેમના પક્ષના એક નેતા તેમને મળવા મોડા આવ્યા. વિલંબને કારણે દાદાએ વિમાન દ્વારા જવાનું નક્કી કર્યું. શું કોઈએ અજિતદાદાનો પ્લાન બદલાવ્યો હતો?
૨. જે વિમાનમાં દાદા ઊડવાના હતા એના પાઇલટ અને કો-પાઇલટ બન્નેને છેલ્લી ઘડીએ કેમ બદલવામાં આવ્યા?
૩. દાદાના વિમાનને બીજી વાર કેમ સર્કલ ફરવા ન દીધું? શું કંપનીએ પાઇલટને ઈંધણ બચાવવાનો આદેશ આપ્યો હતો? શું ઈંધણ બચાવવું કોઈના જીવ કરતાં વધુ મહત્ત્વનું હતું?
૪. VSR કંપનીના વિમાનમાં શું ફૉલ્ટ હતો? નીચે ઊતરતી વખતે એ એક તરફ ઝૂકેલું જોવા મળ્યું એની પાછળનું કારણ શું હતું? શું એ ટેક્નિકલ ફૉલ્ટ હોઈ શકે?
૫. ટેક-ઑફ પહેલાં વિમાનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું? વિમાનનો ટેક-લૉગ ક્યાં છે? ઍરવર્ધીનેસ રિપોર્ટ ક્યાં છે?
૬. શું વિમાનનું નિયમિત મેઇન્ટેનન્સ કરવામાં આવ્યું નહોતું? કોણે કર્યું? વિમાનના હૅન્ગર, CCTV કૅમેરાનાં ફુટેજ ક્યાં છે?
૭. વિમાનનું ગ્રૉસ મેઇન્ટેનન્સ ક્યારે કરવામાં આવ્યું હતું? એનો રિપોર્ટ ક્યાં છે?
૮. યુરોપમાં VSR કંપનીના વિમાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ ભારતમાં કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી?
૯. આ અગાઉ બે વર્ષ પહેલાં VSR કંપનીના વિમાનમાં અકસ્માત થયો હતો, પરંતુ એના પર વધુ તપાસ કરવામાં આવી નહોતી. એનો રિપોર્ટ બે વર્ષ સુધી મળ્યો નથી. શું એ રિપોર્ટ દબાવી દેવામાં આવ્યો હતો?
૧૦. દારૂ પીવા બદલ પાઇલટ સુમિત કપૂર પર ૩ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એ જાણીતું છે. તો પછી આવા પાઇલટને VIP વિમાનનો પાઇલટ કેમ બનાવવામાં આવ્યો?