Bhuleshwar Cha Raja Idol Collapse: શું આ કારણે ભુલેશ્વરચા રાજાની મૂર્તિ થઇ કડડભૂસ? મૂર્તિકારે શું કહ્યું?

26 August, 2026 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bhuleshwar Cha Raja Idol Collapse: મંડળના પ્રમુખ સંકેત નેવશે અને ગુજરાતી બ્રિજેશ જોશીના નિધનથી હજી પણ તે વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તે વચ્ચે હવે મૂર્તિકારના નિવેદનથી આખા બનાવને નવો ટ્વીસ્ટ આવ્યો છે અને ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ભુલેશ્વરચા રાજા અને એ વિસ્તાર જ્યાં સર્જાઇ હતી કરુણાંતિકા (ફાઇલ તસવીરો)

તાજતેરમાં જ ગણેશ આગમનયાત્રામાં એક એવી ઘટના (Bhuleshwar Cha Raja Idol Collapse) બની કે જેનાથી આખું મુંબઈ ધ્રૂજી ઊઠ્યું. ભૂલેશ્વરચા રાજાની મૂર્તિ તેના પંડાલમાં પહોંચે તે પહેલાં જ ક્ડડભૂસ થઇ જતાં બે ગણેશભક્તોનાં મોતથી શહેર હચમચી ગયું છે. આ એક્સિડન્ટને લઇને પોલીસ તપાસ ચાલી રહી છે. આ વચ્ચે જ હવે આ મૂર્તિના ઘડનારા અનિકેત દેસાઈનું પ્રથમવાર નિવેદન નોંધવામાં આવ્યું છે. મૂર્તિકારના નિવેદનથી જાણે આ આખી કરુણાંતિકા પાછળના કેટલાક કારણોનો પણ ઘટસ્ફોટ થયો છે. મંડળના પ્રમુખ સંકેત નેવશે અને ગુજરાતી બ્રિજેશ જોશીના નિધનથી હજી પણ તે વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તે વચ્ચે હવે  મૂર્તિકારના નિવેદનથી આખા બનાવને નવો ટ્વીસ્ટ આવ્યો છે અને ચર્ચાઓએ જોર પકડયું છે.

વેલ્ડિંગ તૂટ્યું, તાબડતોબ રીપેર કરાયું અને ફરી મૂર્તિ આગળ લઇ જવાઈ

રિપોર્ટ્સ અનુસાર એલટી માર્ગ પોલીસ આ સમગ્ર મામલા (Bhuleshwar Cha Raja Idol Collapse)ની તપાસ ચાલી રહી છે. અને આ કેસની પ્રાથમિક તપાસમાં મૂર્તિકાર અનિકેત દેસાઈના નિવેદનમાં આખી ઘટનાનું મુખ્ય કારણ જાણે બહાર આવ્યું છે. મૂર્તિકારના નિવેદન અનુસાર તો શનિવારે સવારે જ ભાયખલાના બકરી અડ્ડા સ્થિત વર્કશોપમાંથી જ્યારે મૂર્તિને પંડાલમાં લઇ જવા માટે બહાર લાવવામાં આવી હતી ત્યારે હજી તો માંડ ૧૫૦ મીટર વટાવ્યું હતું ત્યાં જ મૂર્તિની પાછળ ફિટ કરેલું લોખંડનું વેલ્ડિંગ તૂટી ગયું હતું. વેલ્ડિંગ તૂટી ગયાનું માલૂમ પડતાં જ તાબડતોબ મૂર્તિને ફરીથી વર્કશોપમાં લઇ જવામાં આવી હતી અને કહેવાઈ રહ્યું છે કે ઓલરેડી આગમનયાત્રા નિર્ધારિત થઇ ગઈ હોઇ ઉતાવળે વેલ્ડિંગ સાંધવામાં આવ્યું હતું અને મૂર્તિની પંડાલ સુધીની આગમનયાત્રા ફરીથી શરૂ કરાઇ હતી. પણ આ મૂર્તિ મંડપ સુધી પહોંચી જ શકી નહીં. અને મૂર્તિ લગભગ મંડપ પાસે પહોંચવામાં જ હતી ત્યાં જ પાછું પેલું ઉતાવળે સાંધેલ વેલ્ડિંગ ઊખડી ગયું હતું. જેના કારણે ૨૨ ફૂટની POPની વજનદાર મૂર્તિનું બેલેન્સ ગબડી પડતાં મોટી કરુણાંતિકા સર્જાઇ હતી.

હજી મૂર્તિ પૂરેપૂરી સુકાઈ નહોતી

રિપોર્ટ્સમાં એક અન્ય ચોંકાવનારી વાત પણ સામે આવી છે કે ભૂલેશ્વરચા રાજા (Bhuleshwar Cha Raja Idol Collapse)ની મૂર્તિ હજી પૂરેપૂરી સુકાઈ નહોતી. મૂર્તિના અંદરના ભાગમાં હજી ભીનાશ હતી. અર્થાંત કે મૂર્તિ કાચી હોઇ તેનું વજન અતિશય વધી ગયું હતું, જે સુકાયા બાદ તેટલું ન હોત. આમ, ભેજને કારણે મૂર્તિના વજનમાં થયેલો વધારો અને લોખંડનું વેલ્ડિંગ તૂટી જવું આ બે કારણોસર મૂર્તિ પડી ગઈ હોઇ શકે તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

મૂર્તિકારે પહેલીવાર ઘડી હતી ૨૨ ફૂટ ઊંચાઈવાળી મૂર્તિ

રિપોર્ટસ મળી રહ્યા છે કે મૂર્તિકાર અનિકેત ચંદ્રાકાંત દેસાઈએ પહેલી વખત જ ૨૨ ફૂટ ઊંચી મૂર્તિ (Bhuleshwar Cha Raja Idol Collapse) બનાવવાનું કામ હાથમાં લીધું હતું. આ પહેલાં તેમણે ગયા વર્ષે માત્ર ૧૯ ફૂટની મૂર્તિ બનાવી હતી. આ વર્ષે પહેલીવાર તેણે તબ્બલ ૨૨ ફૂટની મૂર્તિ ઘડી હતી. પોલીસે મૂર્તિકાર અનિકેત દેસાઈના નિવેદનો નોંધ્યા છે. આ ઉપરાંત મંડળના હોદ્દેદારો, સ્વયંસેવકો અને પ્રત્યક્ષદર્શીઓ સહિત આશરે ૧૫થી ૨૦ જણની પણ પૂછપરછ કરવામાં આવી છે. એટલું જ નહીં પણ વર્કશોપથી લઇ મંડપ સુધીના આગમનયાત્રાના રુટના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસ આ મામલે વિગતે તપાસ કરી રહી છે.

mumbai news ganesh chaturthi byculla mumbai police south mumbai