16 September, 2025 08:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કબૂતરખાનાનું ઉદ્ઘાટન મંત્રી મંગલપ્રભાત લોઢાએ કર્યું હતું
મુંબઈના બોરીવલીમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન કૉમ્પ્લેક્સમાં બનેલા શહેરના પહેલા કબૂતરખાનાનો વિવાદ વધી રહ્યો હોવાનું દ્રશ્ય છે. કારણ કે બે દિવસ પહેલા જ મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંગલપ્રભાત લોઢાએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ હવે સ્થાનિક લોકોની ફરિયાદો બાદ પોલીસે અહીં પણ કબૂતરોને ખોરાક આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોનું કહેવું છે કે મોટી સંખ્યામાં કબૂતરો ભેગા થવાથી શ્વસન રોગો અને ચેપનું જોખમ વધી શકે છે. આ મુદ્દાએ આવે ફરી મુંબઈમાં અને રાજ્યમાં રાજકીય અને સામાજિક ચર્ચા જગાવી છે.
શિવસેના (UBT) એ વિરોધ કર્યો, અનાજ સાફ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો
કબૂતરખાના શરૂ થયાના બે દિવસ પછી, શિવસેના (UBT) ના કાર્યકરો અને નેતાઓએ મંગળવારે અહીં વિરોધ કર્યો હતો. તેમણે કબૂતરો માટે મૂકવામાં આવેલા અનાજ દૂર કરીને સરકારના નિર્ણયનો વિરોધ કર્યો અને આ નિર્ણયને લોકોના આરોગ્ય માટે જોખમી ગણાવ્યો હતો. પક્ષના નેતા વિનોદ ઘોસાળકરે કહ્યું કે “સરકાર ધાર્મિક શ્રદ્ધાના નામે લોકોના જીવન સાથે રમી રહી છે.” વિપક્ષનું કહેવું છે કે નવા કબૂતરખાનાની આસપાસ ગીચ વસ્તી છે અને શહેરની મધ્યમાં કબૂતરોને ખોરાક આપવું તે નાગરિકોના સ્વાસ્થ્ય અને વિસ્તારની સ્વચ્છતાને પડતું મૂકવા જેવુ છે.
મંત્રી મંગલપ્રભાત લોઢાની દલીલ, "ધાર્મિક શ્રદ્ધા અને સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જરૂરી છે"
બીજી તરફ, રવિવારે આ કબૂતરખાનાના ઉદ્ઘાટન બાદ મંત્રી મંગલપ્રભાત લોઢાએ પોતાના નિવેદનમાં કહ્યું કે કબૂતરખાના બનાવવાનો હેતુ શહેરભરમાં ફેલાયેલા કબૂતરોને એક આયોજિત જગ્યા પૂરી પાડવાનો છે. તેમણે કહ્યું કે આવા કબૂતરખાના નિર્જન વિસ્તારોમાં બનાવવામાં આવી રહ્યા છે જેથી કબૂતરોને ખોરાક અને પાણી મળે અને નાગરિકોનું સ્વાસ્થ્ય પણ સુરક્ષિત રહે. ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે જંગલો અથવા ખુલ્લી જગ્યાઓમાં કબૂતરખાના બનાવવા એ મધ્યમ માર્ગ છે. બોરીવલીમાં આ નવું કબૂતરખાનું આદિનાથ દિગંબર જૈન મંદિર દ્વારા બનાવવામાં આવ્યું છે.
કોર્ટના આદેશો અને બીએમસીની કાર્યવાહી, ફરી વિવાદ ઉભો થયો
નોંધનીય છે કે બોમ્બે હાઈ કોર્ટે પહેલાથી જ જાહેર સ્થળોએ કબૂતરખાનાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે જાહેર સ્થળોએ કબૂતરોને ખોરાક આપવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આવું કરનારાઓ સામે મુંબઈ મહાનગરપાલિકાએ તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. આ આદેશ પછી, બીએમસીએ શહેરભરમાં કબૂતરખાનાઓને નિયંત્રિત કરવા માટે ખાસ નિયમો બનાવ્યા હતા. હવે બોરીવલી કબૂતરખાનાના ઉદ્ઘાટન પછી, વિવાદ ફરી વધ્યો છે અને વિપક્ષ સરકાર પર કોર્ટના આદેશોની અવગણના કરવાનો આરોપ લગાવી રહ્યો છે. જેના કારણે આ મામલો રાજકીય મુકાબલાનો મોટો મુદ્દો બની ગયો છે, અને આ મુદ્દો આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ગાજશે એવી શક્યતા છે.