ખોપોલી પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી ગઈ

14 May, 2026 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોખમી વળાંક પર ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો, દર્શન કરવા જઈ રહેલા ભક્તોની મિની બસને રસ્તા વચ્ચે જ થયો ઍક્સિડન્ટ, અનેક લોકોને થઈ ઈજા

શ્રદ્ધાળુઓ ભરેલી મિની બસ પલટી ખાઈ ગઈ હતી.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર બોરઘાટ મન્કી હિલ પર ગઈ કાલે સવારે એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં મુરબાડથી જેજુરી દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓની મિની બસ પલટી ગઈ હતી. ખોપોલી નજીક HOC બ્રિજ પાસેના જોખમી વળાંક પર ડ્રાઇવર ભરત શેળકેએ બસ પરનો કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના થઈ હતી. આ બસ મુરબાડ તાલુકાના શેળકેપાડાથી નીકળી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મિની બસ રસ્તા વચ્ચે જ પલટી મારી ગઈ હતી, જેને કારણે બસમાં સવાર મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. આ અકસ્માતમાં કમલા માળી, ગુરુનાથ ડોંગરે, બાળારામ ભોઈર, રવીન્દ્ર માળી સહિત અનેક શ્રદ્ધાળુઓને ઈજા થઈ છે. તેઓ તમામ મુરબાડના શેળકેપાડા વિસ્તારના રહેવાસી છે. ઘટનાની જાણ થતાં જ હાઇવે ટ્રાફિક-પોલીસ, ડેલ્ટા ફોર્સ અને હેલ્પ ફાઉન્ડેશન જેવી સેવાભાવી સંસ્થાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ-કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ ખોપોલી નગરપાલિકા હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાર બાદ વધુ સારવાર માટે પનવેલની MGM હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખોપોલી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

mumbai news mumbai pune expressway road accident mumbai crime news Crime News