16 February, 2026 08:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: મિડ-ડે))
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશનના ટ્રેક પર દારૂ પીધેલી હાલતમાં એક વ્યક્તિ મળી આવતા લોકલ ટ્રેન સેવા થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. સોમવારે એક વ્યક્તિ રેલવે ટ્રેક પર સૂતેલો જોવા મળતા લોકલ ટ્રેન સેવા થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ કથિત રીતે નશામાં હતો અને પાટા પર જ પડી ગયો હતો.
સૂત્રો અનુસાર, બપોરે 3:28 વાગ્યે, પનવેલથી CSMT આવી રહેલી લોકલ ટ્રેનના મોટરમૅને સફેદ કપડામાં લપેટાયેલો એક માણસ પાટા પર પડેલો જોયો. ટ્રેનની સિપડ તરત જ ધીમી કરવામાં આવી અને સમયસર ટ્રેન બંધ કરવામાં આવી. આનાથી મોટો અકસ્માત ટળી ગયો, જોકે ટ્રેન સેવાઓ થોડા સમય માટે મોડી પડી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે બપોરે 3 વાગ્યે પ્લેટફોર્મ નંબર 1 નજીક પાટા પર પડેલો માણસ મળી આવ્યો હતો. આવી રહેલી ટ્રેનને અગાઉથી રોકી દેવામાં આવી હતી. બાદમાં તે વ્યક્તિને સુરક્ષિત રીતે પાટા પરથી હટાવીને પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રેનનું સંચાલન સામાન્ય કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સફેદ ચાદર ઓઢીને પાટા પર સૂતેલો એક માણસ દેખાય છે. ટ્રેન સ્ટેશન નજીક આવતાની સાથે જ ધીમી પડી જાય છે અને વારંવાર હોર્ન વગાડે છે. મુસાફરોના અવાજો પણ વીડિયોમાં સંભળાય છે જે તે વ્યક્તિને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ પુષ્ટિ આપી છે કે બપોરે લગભગ 3:30 વાગ્યે પ્લેટફોર્મ નંબર 1 નજીક એક માણસ પાટા પર પડેલો જોવા મળ્યો હતો. તેમણે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે પનવેલથી આવતી એક લોકલ ટ્રેનને સુરક્ષિત અંતરે રોકવામાં આવી હતી. તે વ્યક્તિને સુરક્ષિત રીતે પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યો હતો, અને ત્યારબાદ રેલવે કામગીરી સામાન્ય રીતે ચાલુ રહી હતી. "પનવેલથી આવતી એક લોકલ ટ્રેનને સુરક્ષિત અંતરે રોકવામાં આવી હતી જેથી તે વ્યક્તિને સુરક્ષિત રીતે પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યો હતો, અને રેલવે કામગીરી સામાન્ય રીતે ચાલુ રહી હતી. રેલવે કામગીરીમાં અવરોધ ઊભો કરવા અને ગેરકાયદેસર રીતે પાટા પર પ્રવેશ કરવા બદલ રેલવે કાયદાની કલમ 147 હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે," તેમણે કહ્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વ્યક્તિ વિરુદ્ધ રેલવે ઍક્ટની કલમ 147 હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે.