15 April, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ ઘટના બપોરે ૩:૪૪ વાગ્યાની આસપાસ સીએસએમટી અને પનવેલ વચ્ચે ડાઉન હાર્બર લાઇન પર બની હતી. (તસવીર: મિડ-ડે)
મુંબઈ લોકલ ટ્રેન સેવામાં અવાર નવાર ધાંધીયા જોવા જોવા મળે છે. તાજેતરમાં મધ્ય રેલવેની હાર્બર લાઇન લાઇનમાં મોટી ખામી સર્જાતા ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી. સોમવારે બપોરે માનખુર્દ અને વાશી સ્ટેશનો વચ્ચે ઓવરહેડ વાયર પર બૅનર પડતાં સેન્ટ્રલ રેલવેની હાર્બર લાઇન પર મુંબઈ લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી.
ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયર પર બૅનર ફસાઈ જતાં ટ્રેન સેવાઓ એક કલાકથી વધુ સમય માટે મોડી પડી હતી, જેના કારણે ટ્રેનો ટ્રેક પર જ થોભી ગઈ હતી. મધ્ય રેલવેના પ્રવક્તાના જણાવ્યા મુજબ, સીએસએમટી અને પનવેલ વચ્ચે ડાઉન હાર્બર લાઇન પર બપોરે 3:44 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બૅનર ઓવરહેડ વાયર પર અથડાયા બાદ બેલાપુર જતી લોકલ ટ્રેનને માનખુર્દ અને વાશી સ્ટેશનો વચ્ચે રોકી દેવામાં આવી હતી. બૅનરને સુરક્ષિત રીતે દૂર કરવા માટે, વાયરનો વીજ પુરવઠો બંધ કરવો પડ્યો હતો, જેના કારણે ઘણી ટ્રેનો મોડી પડી હતી અને પાટા પર ફસાઈ ગઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું.
રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "ડાઉન હાર્બર લાઇન પર સીએસએમટી-પનવેલ પર, બેલાપુર લોકલને માનખુર્દ અને વાશી સ્ટેશનો વચ્ચે બપોરે 3:44 વાગ્યે રોકી દેવામાં આવી હતી, કારણ કે એક બૅનર ઓવરહેડ વાયર પર પડ્યો હતો, જેના કારણે ટ્રેનોને રોકવામાં આવી હતી અને બૅનર દૂર કરવા માટે પાવર બંધ કરવામાં આવ્યો હતો. આના કારણે ટ્રેક પર ટ્રેનોની ભીડ જોવા મળી હતી. સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે અને પીક અવરમાં કોઈ ખલેલ પહોંચશે નહીં."
પશ્ચિમ રેલવેએ બાન્દ્રા પુલનું કામ પૂર્ણ કર્યું
૧૩ એપ્રિલ, રવિવારના રોજ મુંબઈના બાન્દ્રા ખાતે ભારતીય રેલવેના સ્ક્રુ પાઇલ ફાઉન્ડેશન પરના છેલ્લા બાકી રહેલા પુલને સંપૂર્ણપણે દૂર કરીને નવા અત્યાધુનિક એબટમેન્ટ્સ સાથે પુલનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. માહિમ અને બાન્દ્રા સ્ટેશનો વચ્ચે સ્થિત આ ઐતિહાસિક પુલ પર અપગ્રેડેશનનું કામ હવે સંપૂર્ણપણે પૂર્ણ થયું છે. “માહિમ અને બાન્દ્રા સ્ટેશનો વચ્ચેના પુલ નંબર ૨૦ ને અપગ્રેડ કરવાનો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. તે પશ્ચિમ રેલવેના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ છે અને ભારતીય રેલવે પર જૂના કાસ્ટ આયર્ન સ્ક્રુ પાઇલ ફાઉન્ડેશન બ્રિજના યુગનો અંત છે,” પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું.
“કાસ્ટ આયર્ન (CI) સ્ક્રુ પાઇલ ફાઉન્ડેશન પુલ પર જૂના ડિઝાઇનના પાયા છે જે કટોકટીની ચેતવણી આપ્યા વિના અચાનક ખતમ થઈ જાય છે; તેથી રેલવે બોર્ડ દ્વારા, નીતિગત બાબત તરીકે, સલામતી વધારવા માટે તમામ રેલવે પુલોનું પુનર્નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો,” તેમણે જણાવ્યું હતું.