25 November, 2025 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
મુંબઈના વાશી વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંના વાશી નાકા ખાતે આવેલ કાલી માતા મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તો ગર્ભગૃહમાં સ્થાપિત દેવી કાલીની મૂર્તિને જોઈ દંગ રહી ગયા હતા, કારણ કે દેવીની મુર્તિને ખ્રિસ્તી ધર્મની ‘મધર મૅરી’ જેવો પોશાક પહેરાવી શણગાર કરવામાં આવ્યો હતો. આ અસામાન્ય દૃશ્યને જોઈને ઘણા ભક્તો મૂંઝવણ મુકાયા અને આ બાબત સામે તેમનો ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. મા કાળીને ‘મધર મૅરી’નો રૂપ આપવાની ઘટના સામે થઈ રહેલા વિરોધ અને લોકોના ગુસ્સાને જોઈને પોલીસે આ મામલે દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. આ અંગે હવે પૂજારીની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મુંબઈના વાશીમાં કાલી માતા મંદિરમાં આ ઘટના બની હોવાના અહેવાલ. જ્યારે કાલી માતાને મધર મૅરી તરીકે બતાવવામાં આવ્યાના સમાચાર લોકોને મળ્યા ત્યારે ઘણા લોકો મંદિરમાં એકઠા થઈ ગયા હતા. આ ઘટના અંગે હિન્દુ સંગઠનોના સભ્યો ત્યાં પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરી બાબતનો વિરોધ કર્યો હતો. મંદિરમાં ધાર્મિક તણાવ વધવા લાગ્યો હતો. જે અંગે તેમણે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી અને કડક કાર્યવાહીની માગ કરી હતી. થોડા સમય પછી, RCF પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
મંદિરના પૂજારીએ શું કહ્યું?
સ્થાનિક લોકોએ ઘટના અંગે માહિતી આપી હતી કે જ્યારે તેઓએ મંદિરના પૂજારીને કાલી માતાને મધર મૅરી તરીકે દર્શાવવા અંગે પૂછપરછ કરી, ત્યારે તેમણે આશ્ચર્યજનક જવાબ આપ્યો હતો. લોકોએ કહ્યું કે પૂજારીએ દાવો કર્યો હતો કે દેવીએ સ્વપ્નમાં દર્શન આપ્યા હતા અને તેમને મધર મૅરી જેવા કપડાં પહેરાવી શણગાર કરવાની સૂચના આપી હતી.
પૂજારી પર પૈસા લઈ આ કૃત્ય આરોપ
જોકે, આ જવાબ અનેક ભક્તો અને સ્થાનિક ધાર્મિક સંગઠનોના સભ્યોને સંતોષવામાં નિષ્ફળ ગયો હતો. તેમણે આ કૃત્ય સામે વાંધો ઉઠાવ્યો અને ચિંતા વ્યક્ત કરી કે તેનાથી સામાજિક સંવાદિતામાં ખલેલ પહોંચી શકે છે. ભક્તોએ હવે આ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રમેશ નામના આરોપી પૂજારીને કેટલાક સ્થાનિક જૂથોના સભ્યોએ આરસીએફ પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો. જોકે, કેટલાક રહેવાસીઓએ આરોપ લગાવ્યો હતો કે પૂજારી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કૃત્ય કરવા માટે પ્રેરિત થયા હતા. કેટલાકે દાવો કર્યો હતો કે પૂજારીને આવું કરવા માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા.
પોલીસનું શું કહેવું છે?
પોલીસે જણાવ્યું હતું કે પૂજારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને બે દિવસ માટે અટકાયતમાં લેવામાં આવ્યો છે. કાલી માતાની મૂર્તિને મધર મૅરીના પોશાક પહેરાવવા માટે કોણે સૂચના આપી હતી તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે.