22 January, 2026 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મરાઠી એકીકરણ સમિતિના કાર્યકરોએ મરાઠી મેયરની માગણી કરતાં પોસ્ટર્સ પકડીને પ્રદર્શન કર્યું હતું.
મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ના મેયરપદ માટે મરાઠી એકીકરણ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. સમિતિના પ્રમુખ ગોવર્ધન દેશમુખે સીધું અલ્ટિમેટમ આપ્યું છે કે શહેરના આગામી મેયર તરીકે મરાઠીભાષી વ્યક્તિ જ હોવી જોઈએ અને જો એમનું ધાર્યું ન થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ બાબતે ચેતવણી આપતી ઈ-મેઇલ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રવીન્દ્ર ચવાણ અને સ્થાનિક અધ્યક્ષને મોકલવામાં આવી છે.
સમિતિએ કરેલી ઈ-મેઇલ
સમિતિના પ્રમુખ ગોવર્ધન દેશમુખ
મીરા-ભાઈંદરમાં થયેલા અગાઉના મરાઠા મોરચાની અસરને યાદ કરાવતાં ગોવર્ધન દેશમુખે જણાવ્યું હતું કે ‘મીરા-ભાઈંદરના નાગરિકો અમારી તાકાતથી સારી રીતે વાકેફ છે. મેયરપદ પર બિનસ્થાનિક વ્યક્તિની નિમણૂક કરીને સ્થાનિક સમુદાયને બાજુ પર રાખવાનો કોઈ પણ પ્રયાસ થશે તો મોટા પાયે વિરોધ કરવામાં આવશે. જો મરાઠી લોકોની લાગણીઓને અવગણવામાં આવશે તો સંયુક્ત મહારાષ્ટ્ર 2.0 ચળવળ જેવો જ માહોલ સર્જાશે. અમે મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનના દરવાજા પર લોહી વહેવડાવવામાં અચકાઈશું નહીં. હું ગોળીઓનો સામનો કરવા પણ તૈયાર છું.’