08 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર અને વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મુંબઈ નજીક આવેલા પાલઘર જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા પર હુમલો થઈ હોવાની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના પાલઘરમાં, કેટલાક લોકોએ શોભાયાત્રા પર ઈંડા ફેંક્યા હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ પરિસરમાં તણાવ પસરી ગયો હતો. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. રવિવારે બનેલી આ ઘટના પછી સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ અજાણ્યા આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે માહિતી આપી છે કે પૂછપરછ માટે એક વ્યક્તિને પણ અટકાયતમાં લેવામાં આવ્યો છે.
પીટીઆઈ ભાષા અનુસાર, સકલ હિન્દુ સમાજ દ્વારા રામ નવમી પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે શોભાયાત્રા ચિખલડોંગરીના સર્વેશ્વર મંદિરથી શરૂ થઈ હતી અને વિરાર પશ્ચિમમાં ગ્લોબલ સિટીના પિંપળેશ્વર મંદિર તરફ જઈ રહી હતી. આ ઘટના તે સમય દરમિયાન બની હતી. રેલીમાં 100 થી 150 વાહનો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, એક રથ અને બે ટેમ્પો પણ રેલીમાં જોડાયા હતા.
એજન્સી સાથે વાત કરતા અધિકારીએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ કેટલાક પોલીસકર્મીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. બોલિંજ પોલીસે ભારતીય ન્યાયિક સંહિતાના સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તે જ સમયે, અધિકારીઓએ જનતાને શાંત રહેવા અને સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે.
પુણેમાં પણ બની એક ગંભીર ઘટના
પુણેના તાલેગાંવ દાભાડે ગામમાં રવિવારે સાંજે રામ નવમીના અવસરે આગનો સ્ટંટ દુ:ખદ રીતે સમાપ્ત થયો જેમાં કલાકારનો ચહેરો ગંભીર રીતે દાઝી ગયો. મારુતિ મંદિર ચોક પાસે બનેલી આ આઘાતજનક અકસ્માતની ઘટનાને ઉજવણી જોવા માટે ભેગા થયેલા ઘણા લોકોએ મોબાઇલ ફોનમાં કેદ કરી લીધી હતી.
સ્થાનિક સાક્ષીઓના જણાવ્યા અનુસાર, કલાકારની ઓળખ શિવમ સુધીર કાસાર તરીકે થઈ હતી, જે સ્થાનિક સ્પોર્ટ્સ એકેડેમીનો 20 વર્ષનો વિદ્યાર્થી હતો, જે મલ્લખંભ પર ચઢતી વખતે બે સળગતી મશાલો પકડીને બેઠો હતો જે એક એક્રોબેટિક્સ અને જિમ્નેસ્ટિક્સ પ્રદર્શન માટે વપરાતો પરંપરાગત લાકડાનો થાંભલો હોય છે. આ દરમિયાન તેણે મશાલની આગ પર જ્વલનશીલ પ્રવાહી પદાર્થ ફૂંક્યું આને આગ તેના ચહેરા પર લાગી ગઈ.
"તેણે પોતાના સ્ટંટ પરનો કાબુ ગુમાવ્યો અને મલ્લખંભ પરથી પડી ગયો. આ ઘટના બાદ ભીડ આઘાતમાં હતી. ઘણા લોકો ગભરાઈ ગયા અને મદદ માટે દોડ્યા," ઘટના જોનારા એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું. કાસારને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. શરૂઆતમાં, કોઈ FIR નોંધાઈ ન હતી. જોકે, પ્રાદેશિક નાયબ પોલીસ કમિશનર વિશાલ ગાયકવાડે બપોરે પુષ્ટિ કરી કે ખરેખર FIR દાખલ કરવામાં આવી છે. ગાયકવાડે જણાવ્યું હતું કે, "કલાકાર શિવમ સુધીર કાસાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 287 (આગ અથવા જ્વલનશીલ પદાર્થના સંદર્ભમાં બેદરકારીભર્યું વર્તન) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેની હાલત સ્થિર છે."