28 October, 2021 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રામદાસ આઠવલે
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકાર પ્રધાન રામદાસ આઠવલે (Ramdas Athawale)એ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્રના બચાવમાં આવ્યા છે. બુધવારે લખનઉમાં તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં દારૂ પીનારાઓને જેલમાં મોકલવામાં આવતા નથી, પરંતુ કાયદામાં એવી જોગવાઈ છે કે જે લોકો ડ્રગ્સનું સેવન કરતાં હોય તેમને જેલમાં મોકલી શકાય છે. આ કાયદાને બદલવાની જરૂર છે. તેમણે કહ્યું કે અમારા મંત્રાલયને લાગે છે કે ડ્રગ્સના દુરુપયોગના આરોપીઓને જેલમાં મોકલવાને બદલે વ્યસનમુક્તિ કેન્દ્રમાં મોકલવા જોઈએ.
આઠવલેએ રવિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એમ પણ કહ્યું હતું કે શાહરૂખ ખાને આર્યન ખાનને વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલવો જોઈએ. આર્યન એક મહિનામાં ઠીક થઈ જશે.
અગાઉ TV18 ઈન્ડિયા પર ચાલી રહેલી ચર્ચામાં રામદાસ આઠવલેએ સમીર વાનખેડેનું સમર્થન કર હતું. આઠવલેએ કહ્યું કે “વાનખેડે દલિત સમાજમાંથી છે. તેમના પિતાનું નામ જ્ઞાનદેવ વાનખેડે છે. તેમના પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમના પિતાનું નામ દાઉદ છે, દાઉદ તો પાકિસ્તાનમાં છે. આ દાઉદ અહીં કેવી રીતે આવી શકે?”
આઠવલેએ વધુમાં કહ્યું કે “પરંતુ એ વાત સાચી છે કે તેમના પિતાએ મુસ્લિમ સમુદાયની મહિલા સાથે લગ્ન કર્યા હતા. જેથી તેમને જાણી જોઈને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.” તેમણે સમીર વાનખેડેને વધુ સમર્થન આપતાં કહ્યું કે તે ખૂબ જ સક્રિય અધિકારી છે, તે દલિત સમાજમાંથી અભ્યાસ કરીને આટલા ઉચ્ચ પદ પર પહોંચ્યા છે. તેમને ટેકો આપવાની મારી જવાબદારી છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી આ મામલે સમીર વાનખેડેની સાથે છે.