26 February, 2026 04:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શૅફ વિકાસ ખન્ના - તસવીર ઇન્સ્ટાગ્રામ
શૅફ વિકાસ ખન્ના તેમના સંવેદનશીલ અને મળતાવડા હોવા માટે જાણીતા છે. તાજેતરમાં તે મુંબઈના મહેમાન બન્યા ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે કરેલી ટૂંકી પણ વિશેષ વાતચીતમાં તેમણે કહ્યું કે પોતે નિવૃત્તિ લેવાના હશે ત્યારે કોને માટે છેલ્લું મીલ રાંધશે અને તેમનો જવાબ ખરેખર ચોંકાવનારો અને ગમી જાય તેવો હતો.
તેમણે કહ્યું, "મારી જિંદગીમાં ત્રણ લોકો સૌથી વધુ અગત્યનાં છે. બીકે એટલે કે બિંદુ ખન્ના, મારા મા, એસકે એટલે સંજય કપૂર અને એસઆરકે. મારી લાઇફમાં આ ત્રણ જણા વિના કંઇપણ પુરું નથી થતું, એ મારું રેસ્ટોરન્ટ હોય, પ્રોજેક્ટ હોય કે કોઈ મુવી હોય, આ લોકો જરૂરી છે. મારું રેસ્ટોરન્ટ ત્યાં સુધી કમ્પલિટ નથી હોતું જ્યાં સુધી ત્યાં એસઆરકે ન આવે, સંજય કપૂર ન આવે અને અને મારાં માને હાથે તેનો દરવાજો પહેલીવાર ન ખૂલે. આ લોકોને હું સૌથી વધુ પ્રેમ કરું છું એટલે તેમના વિના મારું કોઈ કામ પુરું નથી થતું."
આ ઉપરાંત વૈશ્વિક ફલક પર પોતાની ઓળખાણ ઘડનારા શૅફને જ્યારે પૂછ્યું કે તે કઈ બાબતો માટે કૃતજ્ઞતા ધરાવે છે ત્યારે તેમણે કહ્યું, "આજે ચાર દાયકા પછી પણ હું આટલો પ્રસ્તુત છું, પ્રાસંગિક છું તે જ બહુ મોટી વાત છે, ભારત અને અમેરિકા બંન્ને દેશોમાં કામ કરું છું, તે માટે હું કૃતજ્ઞ છું. લાંબી સફર રહી છે, ઈશ્વરના આશીૂર્વાદ છે, ઘણા લોકોને મળ્યો છું, તેમણે મને હું કોણ છું એ બતાવ્યું છે. હું જન્મ્યો એ માટે પણ હું ઇશ્વરનો પાડ માનું છું, મારી મમ્મીએ મને જે ટેકો આપ્યો એને માટે પણ હું કૃતજ્ઞ છું." તેમણે એમ પણ કહ્યું કે, "હું અમૃતસરનો છોકરો છું, આજે વૈશ્વિક મંચ પર કામ કરું છું, પહેલાં મારી પાસે બધું હતું પણ હું ખુશ નહોતો કારણકે મેં મારી જાતને જે રીતે સ્વીકારવી જોઇએ એ રીતે નહોતી સ્વીકારી, મને મળતા લોકોએ મને હું જે છું તેની પર ગર્વ કરતાં, તે સ્વીકારતા શીખવ્યું તે માટે પણ હું કૃતજ્ઞતા અનુભવું છું."
વિકાસ ખન્નાને તાજેતરમાં જ યુએસ ક્રેનબેરીઝના પ્રમોશન માટે કામ કરતા ધી ક્રેનબેરી ઇન્સ્ટિટ્યૂટની ઈન્ડિયા ઑફિસે ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા. આ નિમિત્તે તેમણે મુંબઈની એક ઇવેન્ટમાં ક્રેનબેરીઝના ઉપયોગ, તેમાંથી બનતી વાનગીઓ વિશે વાત કરી. તેમણે ત્યાં ક્રેનબેરીઝની સ્પેશ્યલ ડિશ પણ બનાવી હતી. વિકાસ ખન્નાએ ક્રેનબેરીઝનો ઉપયોગ કરીને ભારતીય અને આંતરરાષ્ટ્રીય બંન્ને પ્રકારની વાનગીઓ કેવી રીતે બનાવી શકાય તેના ડેમોઝ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "મારે માટે ફૂડ એક સંતુલનની વાત છે, તે શરીરને પોષણ પણ આપે અને સંસ્કૃતિને ઉજવે પણ. ક્રેનબેરીઝમાં પણ એ બન્ને બાબતો છે."