કલકત્તામાં અમિત શાહનો આકરો મિજાજ
ગઈ કાલે કલકત્તામાં બોલતા અમિત શાહ.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે કલકત્તામાં આયોજિત ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલનમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અને તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆત કાલીઘાટ અને દક્ષિણેશ્વર ખાતે કાલીમાતાનાં દર્શન કરીને કરી હતી અને ત્યાર બાદ તેમણે મમતા સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે...
- પહેલાં સામ્યવાદીઓએ અને પછી TMCએ બંગાળને ગુના, ભ્રષ્ટાચાર અને મહિલાઓ વિરુદ્ધ હિંસાનો ગઢ બનાવ્યું છે. બંગાળને ગેરકાયદે ઘૂસણખોરો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનાવવામાં આવ્યું હતું. હવે મમતાદીદીનો સમય પૂરો થઈ ગયો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં BJPને ૪૦ ટકા મત મળ્યા હતા. હવે આપણે ફક્ત થોડા વધુ ટકા મત ઉમેરવાના છે અને આપણે સરકાર બનાવીશું.
- શું પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા પછી જીવ લેનારાઓને જવાબ આપવો યોગ્ય નહોતો? મમતાને ઑપરેશન સિંદૂર ગમ્યું નહીં કારણ કે તે તુષ્ટીકરણની રાજનીતિ કરે છે. આ વખતે બંગાળની મહિલાઓ મમતાદીદીને સિંદૂરનું મહત્ત્વ સમજાવશે.