બંગાળથી આવેલા કામદારની પૂણેમાં હત્યા, CM મમતાએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી

12 February, 2026 02:56 PM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં પુરુલિયા જિલ્લાના એક સ્થળાંતરિત કામદારની કથિત રીતે હત્યા થયાના એક દિવસ પછી આ પ્રતિક્રિયા આવી છે. તૃણમૂલ કૉંગ્રેસના નેતાનો આરોપ છે કે સુખેન મહતોની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તે બંગાળી બોલતો હતો.

મમતા બેનર્જી અને તેમણે કરેલી પોસ્ટ

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મહારાષ્ટ્રના પુણેમાં બંગાળના એક સ્થળાંતરિત કામદારની હત્યાની નિંદા કરી. આ ઘટનાને નફરતનો ગુનો ગણાવતા બેનર્જીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં બહારના લોકો પ્રત્યેની નફરતને હથિયાર બનાવવામાં આવી રહી છે અને નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાને તેમના સત્તાવાર X હૅન્ડલ પર આ ઘટનાનો વીડિયો પોસ્ટ કરીને દુ:ખ અને આક્રોશ વ્યક્ત કર્યો. મમતા બેનર્જીએ કહ્યું, "આ સ્પષ્ટ રીતે નફરતનો ગુનો છે. એક યુવાનને તેની ભાષા, ઓળખ અને મૂળના કારણે નિશાન બનાવવામાં આવ્યો હતો. તેને ત્રાસ આપીને મારી નાખવામાં આવ્યો હતો. આ એવા વાતાવરણનું પરિણામ છે જ્યાં વિદેશીઓ પ્રત્યેનો ડર હથિયાર બનાવવામાં આવી રહ્યો છે."

મમતા બેનર્જીએ ચેતવણી આપી

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને આ મામલે તાત્કાલિક ધરપકડ અને ગુનેગારોને કડક સજા આપવાની માગ કરી. તેમણે કહ્યું, "હું માગ કરું છું કે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમને કડક સજા આપવામાં આવે. હું સુખેનના પરિવારને કહેવા માગુ છું કે આ ભારે દુઃખની ઘડીમાં આખું બંગાળ તમારી સાથે ઉભું છે. ન્યાય સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં. હું વ્યથિત, ગુસ્સે અને દુઃખી છું જે શબ્દોમાં કહી શકાય નહીં.” પશ્ચિમ બંગાળના પુરુલિયાના બંધવાનના 24 વર્ષીય સ્થળાંતરિત કામદાર સુખેન મહતો, જે પોતાના પરિવારમાં એકમાત્ર કમાતી વ્યાકતી હતી, તેની મહારાષ્ટ્રના પુણેમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ પહેલી વાર નથી જ્યારે મમતા બેનર્જીએ અન્ય રાજ્યોમાં, ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં બંગાળથી સ્થળાંતરિત થયેલા કામદારો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હોય. તેમણે અગાઉ દેશભરમાં બંગાળી ભાષી લોકો પર કથિત ઉત્પીડન માટે કેન્દ્ર સરકારની ટીકા કરી છે.

બંગાળથી મહારાષ્ટ્રમાં સ્થળાંત કરનાર કામદારની હત્યા

મહારાષ્ટ્રમાં પુરુલિયા જિલ્લાના એક સ્થળાંતરિત કામદારની કથિત રીતે હત્યા થયાના એક દિવસ પછી આ પ્રતિક્રિયા આવી છે. તૃણમૂલ કૉંગ્રેસના નેતાનો આરોપ છે કે સુખેન મહતોની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તે બંગાળી બોલતો હતો. પોલીસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકનું નામ સુખેન મહતો હતું અને તે પુરુલિયાના બંધવાનનો રહેવાસી હતો. બુધવારે બપોરે પુણેના શિકારપુર પોલીસ સ્ટેશન હેઠળના કોરેગાંવ ભીમા વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. એવો આરોપ છે કે બંગાળી બોલવા બદલ તેને માર મારવામાં આવ્યો હતો. તેના મોટા ભાઈ તુલસીરામ મહતોએ શિકારપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. સુખેન 2021 થી પુણેમાં સ્થળાંતરિત મજૂર તરીકે કામ કરતો હોવાનું કહેવાય છે. તે કોરેગાંવ ભીમા નજીક સનતબારી વિસ્તારમાં કારના ભાગો બનાવતી કંપનીમાં નોકરી કરતો હતો. તેનો મૃતદેહ તે જ વિસ્તારમાંથી મળી આવ્યો હતો.

kolkata west bengal bengal mamata banerjee pune pune news maharashtra government