18 September, 2025 08:21 PM IST | Himachal Pradesh | Gujarati Mid-day Online Correspondent
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના મનાલીમાં આપત્તિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ભાજપના સાંસદ કંગના રનૌતે અધિકારીઓ સાથે વાતચીત કરી. (તસવીર: એજન્સી)
હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ગુરુવારે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મળી હતી. જોકે આ મુલાકાત દરમિયાન, તે પ્રભાવિત લોકોની સમસ્યા સાંભળવા અને તેઓને મદદ કરવાને બદલે પોતાના જ મનાલીમાં તેમના રેસ્ટોરન્ટને થયેલા નાણાકીય નુકસાન અંગે વ્યથા વ્યક્ત કરતાં જોવા મળી હતી. લોકોની પીડાને સમજવાને બદલે પોતાનું દુઃખ સંભાળવતા હવે કંગનાની જોરદાર ટીકા કરવામાં આવી રહી છે, તેના આવા વર્તન કરવાનો વીડિયો શૅર કરી તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.
"અમે પણ આ સ્થળના રહેવાસી છીએ. જો તમે અમને આ રીતે ઍટક કરવા આવશો, તો અમે તમારા માટે કેવી રીતે કામ કરીશું? પહેલા શાંત થાઓ, અને પછી જાણો કે મારું શું થશે. મારી પાસે અહીં એક રેસ્ટોરન્ટ પણ છે, જેનો ગઈ કાલે ફક્ત રૂ. 50 નો ધંધો હતો," વીડિયોમાં કંગના બોલતી સંભળાઇ રહી છે.
કંગનાએ કહેવાનું શરૂ કર્યું કે "અમે પણ આ સ્થળના રહેવાસી છીએ. જો તમે અમારા પર આ રીતે હુમલો કરવાનું શરૂ કરો છો, તો અમે તમારા માટે કેવી રીતે કામ કરીશું? પહેલા શાંત થાઓ અને સમજવાનો પ્રયાસ કરો કે હું શું પસાર કરી રહી છું. મારી પાસે પણ અહીં એક રેસ્ટોરન્ટ છે, તેનું ગઈ કાલે ફક્ત રૂ. 50 નું વેચાણ થયું હતું. મારે રૂ. 15 લાખ પગાર આપવો પડે છે અને કાલે ફક્ત 50 રૂપિયાનો વ્યવસાય કર્યો છે, જેથી કૃપા કરીને મારી પીડા પણ સમજો. મારા પર એ રીતે હુમલો ન કરો કે જાણે કંગના ઇંગ્લૅન્ડની રાણી હોય અને કંઈ કરતી ન હોય," તેણે ઉમેર્યું.
તેનો અર્થ એમ થાય છે કે, "મારે પગારના રૂ. 15 લાખ ચૂકવવા પડશે, અને ધંધો ફક્ત રૂ. 50 થયો છે. કૃપા કરીને મારી પીડાને પણ સમજવાનો પ્રયાસ કરો. મારા પર હુમલો ન કરો. કંગના કોઈ ઇંગ્લૅન્ડની રાણી નથી કે જે તમારા માટે કંઈ કરી રહી નથી."
કંગના બુધવારે સાંજે મંડીથી મનાલી પહોંચી હતી. આજે સવારે, તેણે સોલાંગ ગામની મુલાકાત લીધી અને આપત્તિગ્રસ્ત પરિવારોને મળી. હિમાચલ પ્રદેશ રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 419 લોકોના મોત થયા છે, જેમાંથી 237 લોકોના મોત વરસાદ સંબંધિત છે, જેમાં 52 લોકોના મોત ભૂસ્ખલન, 45 લોકોના પહાડ પરથી પડવાથી, 40 લોકોના ડૂબવાથી, 17 લોકોના વાદળ ફાટવાથી અને 11 લોકોના પૂરથી થયા છે. આ જ સમયગાળા દરમિયાન માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 182 લોકોના મોત થયા છે.