28 March, 2026 10:11 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઉત્તરાખંડમાં આવેલાં ચાર ધામમાંના એક યમુનોત્રી ધામે એના દરવાજા તમામ ધર્મના ભાવિકો માટે ખુલ્લા મૂકી દીધા છે. આ સંદર્ભમાં મંદિરના અધિકારીઓએ કહ્યું હતું કે મંદિરમાં બધા ભક્તોનું સ્વાગત છે અને સનાતન ધર્મમાં શ્રદ્ધા ધરાવનાર કોઈ પણ વ્યક્તિ અવરોધ વિના માતા યમુનાના આશીર્વાદ મેળવી શકે છે. બદરીનાથ, કેદારનાથ અને ગંગોત્રીમાં બિનહિન્દુઓને પ્રવેશ નથી, પણ યમુનોત્રી ધામ અલગ બન્યું છે.
આ સંદર્ભમાં યમુનોત્રી મંદિર સમિતિના સચિવ સુનીલ ઉનિયાલે કહ્યું હતું કે યમુનોત્રી ધામની મુલાકાત લેતા બધા ભક્તોનું સ્વાગત છે અને ભાર મૂક્યો હતો કે અમારી પ્રાથમિકતા યાત્રાળુઓ માટે વ્યવસ્થા સરળ અને મુશ્કેલીમુક્ત રાખવાની છે. તેમની આ કમેન્ટ એવા સમયે આવી છે જ્યારે ચાર ધામ સર્કિટમાં અન્ય મંદિર સંસ્થાઓએ કડક પ્રવેશ-શરતો લગાવી છે.
બદરીનાથ અને કેદારનાથ ખાતે બદરીકેદાર ટેમ્પલ કમિટી (BKTC)ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે બિનહિન્દુઓને ફક્ત ત્યારે જ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે જો તેઓ સનાતન ધર્મમાં તેમની શ્રદ્ધાની પુષ્ટિ કરતું સોગંદનામું રજૂ કરશે. BKTCએ પહેલાંથી જ ગઢવાલમાં એના અધિકારક્ષેત્ર હેઠળનાં બે મંદિરો અને ૪૫ અન્ય મંદિરોમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે.
ગંગોત્રી ધામમાં પણ અધિકારીઓ બિનહિન્દુઓને પવિત્ર મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવાના પક્ષમાં નથી. ગંગોત્રી મંદિર સમિતિના સચિવ સુરેશ સેમવાલે જણાવ્યું હતું કે પરંપરાગત ધોરણોનું પાલન ફરજિયાત છે અને સ્પષ્ટતા કરી હતી કે મંદિરમાં પ્રવેશ માટે ફક્ત એ લોકોને જ મંજૂરી છે જેઓ સનાતન પરંપરાઓ અને શુદ્ધતા સાથે સંકળાયેલા નિયમોનું પાલન કરે છે.