28 March, 2024 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જ્યારે પણ કોઈ નવો વાઇરલ ફેલાય ત્યારે એ ક્યાંક પ્રાણીઓમાંથી માણસો સુધી પહોંચ્યો છે એની વાતો બહાર આવે છે, પણ તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં અવળી જ વાત બહાર આવી છે. એ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે માણસો વારંવાર જંગલી અને પાળેલાં પ્રાણીઓમાં વાઇરસ ફેલાવે છે જેનાથી એને રોગ થવાનું જોખમ વધે છે. યુનિવર્સિટી કૉલેજ લંડનના સંશોધકોએ વાઇરસની જિનેટિકલ સ્ટડી પર રિસર્ચ કર્યું છે એમાં નોંધાયું છે કે માનવથી પ્રાણીઓમાં વાઇરસનું સંક્રમણ થવાની સંભાવના પર અત્યાર સુધીમાં ખૂબ ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટ અને ફ્રાન્સિસ ક્રિક ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટરેટના વિદ્યાર્થી અને મુખ્ય લેખક સેડ્રિક ટેને જણાવ્યું હતું કે ‘જ્યારે પ્રાણીઓ મનુષ્યો થકી વાઇરસથી સંક્રમિત થાય છે ત્યારે એ માત્ર પ્રાણીઓને જ નુકસાન પહોંચાડે છે એવું નથી, પરંતુ સમગ્ર પ્રજાતિઓના સંરક્ષણ માટે ખતરો ઊભો કરી શકે છે. એ સિવાય જો મનુષ્યમાંથી ટ્રાન્સફર થયેલો કોઈ વાઇરસ નવી પ્રાણીની પ્રજાતિને ચેપ લગાડે છે તો એ મનુષ્યોમાંથી નાબૂદ થયા બાદ પણ એની હાજરી નોંધાવી શકે છે.