26 June, 2026 03:19 PM IST | Agra | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ઉત્તર પ્રદેશના આગ્રામાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાઉન્સિલર કિશન નાયકે તેમના જન્મદિવસ પર ત્યાંની મહાનગર પાલિકાના પર કામોમાં બેદરકારી અને ફરિયાદોને અવગણવાનો આરોપ કરી એક અનોખું વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમણે એક ખુલ્લી ગટરની અંદર ઉભા રહીને તેમનો બર્થ-ડે ઉજવ્યો મુદ્દા પર પ્રકાશ પાડ્યો. આ પ્રતીકાત્મક વિરોધનો ઉદ્દેશ્ય વિસ્તારની ડ્રેનેજ (ગટર) અને સ્વચ્છતા વ્યવસ્થા સંબંધિત લાંબા સમયથી ચાલતા મુદ્દાઓ તરફ પ્રશાસનનું ધ્યાન દોરવાનો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સમસ્યાઓ અંગે વર્ષોથી ફરિયાદ કરવામાં આવી રહી છે પણ તે ઉકેલાઈ નથી. લંગડે કી ચોકી હનુમાન મંદિર પાસે આ વિરોધ પ્રદર્શન થયું. નાયકે સ્થાનિક રહેવાસીઓ સાથે ખુલ્લા ગટરના ગંદા પાણીમાં ઉભા રહીને પોતાના જન્મદિવસની કેક કાપી. ઘટનાસ્થળના વીડિયો અને તસવીરોમાં કાઉન્સિલર ગંદા પાણીમાં ઉભા છે, તેમની આસપાસ સમર્થકો સૂત્રોચ્ચાર કરતાં જોવા મળી રહ્યા છે.
કિશન નાયકે ધ્યાન દોર્યું કે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, અને ખુલ્લા ગટરની ખરાબ સ્થિતિ જાહેર સલામતી અને આરોગ્ય માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ગટરની સફાઈ અને યોગ્ય બાંધકામની માગણી કરતી ફરિયાદો સંબંધિત અધિકારીઓને વારંવાર કર્યા છતાં, અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેમણે આરોપ લગાવ્યો કે ભારે વરસાદને કારણે પાણી ભરાવાનું, મચ્છરોનો ઉપદ્રવ અને અકસ્માતોનું જોખમ વધે છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ માટે સતત મુશ્કેલીઓ ઉભી થાય છે.
આ બાબતે બોલતા, કિશન નાયકે દાવો કર્યો કે તેમણે આ વિરોધ પ્રદર્શન કરતા પહેલા તમામ સત્તાવાર માધ્યમોનો ઉપયોગ કર્યો હતો. "મેં છેલ્લા ત્રણ વર્ષમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનરને 30 થી વધુ પત્રો મોકલ્યા છે, પરંતુ સમસ્યા આજ સુધી ઉકેલાયેલી નથી," તેમણે કહ્યું. તેમણે આરોપ લગાવ્યો કે આગ્રા મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ ખુલ્લા ગટર અને નબળી સ્વચ્છતા વ્યવસ્થા અંગે વારંવારની ફરિયાદોને અવગણી છે. તેમણે કહ્યું કે આ મુદ્દા પર અધિકારીઓનું ધ્યાન દોરવા માટે તેમને આ પ્રતીકાત્મક વિરોધ કરવાની ફરજ પડી હતી.
કિશન નાયકે એવો પણ આરોપ લગાવ્યો કે ખુલ્લા ગટરની અવગણનાને કારણે અગાઉ ગંભીર અકસ્માતો થયા છે. તેમના મતે, "ખુલ્લા ગટરમાં પડી જવાથી બે બાળકો અને એક ખેડૂતના મોત થયા છે, જ્યારે એક બાળક ગુમ છે." તેમણે જણાવ્યું કે સંભવિત જોખમ અંગે વારંવાર ચેતવણી આપવા છતાં, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કોઈ નક્કર પગલાં લેવામાં નિષ્ફળ રહ્યા.