04 September, 2026 03:52 PM IST | Morena | Gujarati Mid-day Correspondent
CRPFના ભૂતપૂર્વ હવાલદાર ગિરવર સિંહ તોમર
મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાના રહેવાસી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ભૂતપૂર્વ હવાલદાર ગિરવર સિંહ તોમરના જીવનની સત્ય કથા ફિલ્મી વાર્તાને પણ માત આપે એવી છે. ૧૯૯૯માં એક મામૂલી સાઇકલ-અકસ્માતના ખોટા આરોપસર તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અધિકારીઓનો દાવો હતો કે તેમની સાઇકલ સાહેબની ગાડી સાથે અથડાઈ હતી, જ્યારે ગિરવર સિંહનું કહેવું હતું કે સાઇકલ ગાડીને અડી પણ નહોતી.
અન્યાય સામે ઝૂકવાને બદલે તેમણે હાઈ કોર્ટના દરવાજા ખટખટાવ્યા. નોકરી છીનવાઈ જતાં તેઓ ઘરે પરત ફર્યા અને ધીમે-ધીમે તેમણે તેમનું મન અધ્યાત્મ તરફ વાળ્યું. ૨૦૦૧માં તેઓ નિર્મોહી અખાડા સાથે જોડાયા, ભગવાં વસ્ત્ર ધારણ કરી લીધાં અને બાબા ગિરવર દાસ બનીને સાધુનું જીવન જીવવા લાગ્યા. જોકે ભગવાં પહેર્યા પછી પણ તેમણે કાનૂની લડાઈ ચાલુ રાખી હતી.
લગભગ ૨૭ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ છત્તીસગઢ હાઈ કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો અને તેમને સન્માનપૂર્વક નોકરી પર પરત લેવાનો આદેશ આપ્યો છે. પરિણામે ૫૪ વર્ષની ઉંમરે બાબા ગિરવર દાસે ભગવાં વસ્ત્રો ઉતારીને ફરીથી CRPFની ૮૫મી બૅટલ્યનની ખાખી વરદી, કૅપ અને બૂટ
પહેરી લીધાં છે. અઢી દાયકાથી પણ વધુ સમય પછી પોતાની બટૅલ્યનમાં પરત ફરતાં જ સહકર્મીઓએ બાબા ગિરવર દાસ ઉર્ફે હવાલદાર ગિરવર સિંહ તોમરનું ભાવુક સ્વાગત કર્યું હતું.