09 March, 2026 02:37 PM IST | Brazil | Gujarati Mid-day Correspondent
જેલમાં વર્ષે ૧૨ પુસ્તકો વાંચો અને એ વિશેની નોંધ લખો તો વર્ષે ૪૮ દિવસની સજા ઘટે
બ્રાઝિલમાં જેલમાં રહેલા કેદીઓનું રીહૅબિલિટેશન સરળ બને, જેલવાસ દરમ્યાન કેદીઓ કંઈક ભણે, શીખે અને જ્ઞાન પ્રાપ્ત કરીને સમૃદ્ધ થાય તો તેમને જેલની સજામાં ડિસ્કાઉન્ટ આપવાની સ્કીમ બહાર પાડવામાં આવી છે. આ પ્રોગ્રામ અંતર્ગત કેદીઓ સાહિત્ય, સાયન્સ કે ફિલોસૉફીનાં ૧૨ પુસ્તકો વાંચી શકે છે અને દરેક પુસ્તક વંચાઈ જાય એ પછી એ પુસ્તક વિશે તેમણે બ્રીફ નોંધ લખવાની રહે છે. જો આ નોંધ નિયામકોને યોગ્ય લાગે તો તેમને પુસ્તકદીઠ ૪ દિવસની સજા ઘટાડી આપવાની જોગવાઈ છે. વર્ષે ૧૨ પુસ્તકો પ્રમાણે કેદીઓ વર્ષમાં ૪૮ દિવસની એટલે કે લગભગ દોઢ મહિનાથી વધુની સજા ઘટાડી શકે છે.
જેલની આ પહેલને સિવિલ સોસાયટીએ ખૂબ સપોર્ટ કર્યો છે, કેમ કે એ જેલમાં સજા કાપતા કેદીઓના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. જેલમાં ખતરનાક અપરાધીઓની સાથે રહેવું, સ્ટ્રેસ અને ભીડભાડવાળા માહોલમાં લાંબો સમય રહેવું થકવી નાખનારું અને વ્યક્તિત્વ બદલી નાખનારું હોય છે. જોકે એ અગવડોની સાથે જો તેમનું મન કોઈક રચાનાત્મક અને બૌદ્ધિક કાર્યોમાં પળોટાયેલું રહે તો જેલમાંથી બહાર નીકળ્યા પછીની જિંદગી સરળ રહે છે.